________________
‘દેવી સુભદ્ર ! અમે સો ભાઈ છીએ, પણ અમારી હેતપ્રીત જુઓ તો અજબ છે ! જાણે સો દેહ ને પ્રાણ એક. રે હંસ ! તેઓ બધા હતા તો ક્ષેમકુશળ ને ?” ચક્રવર્તી રાજાના શબ્દોમાં ભારોભાર વહાલ ઊભરાતું હતું.
હા મહારાજ !' રાજદૂત હંસે જવાબ વાળતાં કહ્યું : “તેઓને મેં આપના વતી કુશળતા પૂછી એટલે બોલ્યા કે બધી મોટાભાઈની મહેર છે. અમે ૯૮ ભાઈઓ એક થઈને રહીએ છીએ. એકનું સુખદુઃખ સહુનું સુખદુઃખ સમજીએ છીએ. વળી અમે ચક્રવર્તી મહારાજ ભરતદેવના નાનેરા ભાઈઓ છીએ, એ નાતે પણ અમારી સામે કોઈ નજર નાખતું નથી. અમારી નીતિ પ્રેમસગાઈની છે. પરમપિતા ઋષભદેવે અમને યુદ્ધહીન સુરાજ્યની સૂચના આપી છે; એટલો રાજ-સંયમ અમે પાળીએ છીએ.'
“રાજ-સંયમ એટલે શું ? એ વળી નવો સંયમ કેવો કાઢ્યો ?” પટરાણીએ વચ્ચે પ્રશ્ન કર્યો, ને મીઠું હાસ્ય કર્યું. હીરાકણી જેવી એમની દંત–પંક્તિ પોતાનું તેજ વેરી રહી.
‘રાણીજી ! મારે માટે પણ એ શબ્દ નવો હતો. મેં તેનો અર્થ પૂછ્યો, તો તેઓ બોલ્યા કે જુવાન સ્ત્રી અને પુરુષ એકત્ર થાય, ભૂખ્યો માણસ ને ભાવતું ભોજન ભેગું થાય, ત્યાં જેમ સંયમ પાળવો દુષ્કર થઈ જાય છે, એમ શક્તિ અને રાજા એ બે વાત એકત્ર થાય ત્યાં યુદ્ધનો સંયમ રાખવો મુશ્કેલ પડે છે. બળવાન નૃપતિનો હાથ સીધો શસ્ત્ર તરફ વળે છે !'
રાજદૂત જરા વધુ સ્પષ્ટ થયો; દૂતને બોલવામાં દરેક પ્રકારની છૂટ હોય છે.
‘હાં...પછી ?’ ચક્રવર્તીએ વાત આગળ જાણવાની જિજ્ઞાસાથી કહ્યું. પટરાણીની પરમ સુંદર દેહ એમના ભૂખ્યા દિલને નિમંત્રણ આપી રહી હતી. એમને અત્યારે આ બધી ચર્ચાઓ નિરર્થક લાગી.
પછી આપના લઘુ બંધુઓને મેં મારું વક્તવ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે હું રાજા ભરતદેવનો દૂત હંસ છું. અયોધ્યામાં ચક્રવર્તી મહારાજાનો અભિષેકમહોત્સવ ઊજવાય છે. કૃપા કરીને આપ સર્વે પધારો, અને આપનું સ્થાન અયોધ્યાના દરબારમાં સુનિશ્ચિત કરો.”
‘અયોધ્યાના દરબારમાં અમારું સ્થાન સુનિશ્ચિત કરવાનો અર્થ અમે ન સમજ્યા. અમે તો બધા ભાઈઓ છીએ. માના પેટમાંથી જ અમારું સ્થાન સુનિશ્ચિત્ત થયેલું છે. આપના લઘુબંધુઓએ ઉત્તર આપ્યો.
પડછાયો જ ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org