________________
હે સુંદરી ! અમને યાદ રાખજો. કોઈ વખત અહીં પધારી અમને તમારા પારસમણિ જેવા પરિચયનો લાભ આપજો ! અમે આપને ન ઓળખ્યાં, આપના મહાન આત્માને ન પિછાણ્યો. અવિનય-અપરાધની ક્ષમા અર્પજો.”
સુંદરીની આંખ ક્ષિતિજ પર લાગેલી હતી, પણ ઊપડતા પગ વજનદાર થઈ ગયા હતા. એમણે કહ્યું :
‘સત્કર્મનાં આમ્રવૃક્ષ અધિક મહેનતે ને અતિ જળે પાંગરે છે, ને દુષ્કર્મની વેલ અલ્પ પાણીએ પાંગરે છે, પણ તેથી સત્કર્મ પર અણવિશ્વાસ ન રાખશો. આમ્રવૃક્ષનાં ફળ તો પેઢીઉતાર મળ્યા કરે છે ! પિતાજી કહેતા હતા કે અરિ માટે અસિ નહિ, અંતરનું સ્નેહદ્રાવણ વિશેષ જરૂરી છે.'
સુંદરીએ આમ બોલતાં બોલતાં પગ ઉપાડ્યા.
સૂરજ પશ્ચિમાકાશમાં ઢળતો હતો. એના સુંદર સોનલવર્ણા કિરણોમાં આખો રાજમહાલય અને આખી અયોધ્યા સ્નાન કરી રહી હતી.
પંખીઓએ હજુ પોતાના માળા ભણી પ્રયાણ નહોતું આદર્યું, પણ પ્રિયમિલનના આનંદમાં એ ગહેકી રહ્યાં હતાં.
આખી અયોધ્યા વિજયોત્સવ ઊજવી રહી હતી. રંગ-ગુલાલથી રસ્તાઓ છવાઈ ગયા હતા. કેસૂડાનાં પાણીથી દેહ રંગાઈ ગયા હતા. અબીલ–કંકુથી મુખ ચીતરાઈ ગયાં હતાં.
વરસોથી વિદેશ ગયેલા યોદ્ધાઓ પોતાની નવયૌવના પત્નીને શોધતા હતા; ને મળતી હતી પ્રૌઢા પત્ની ! અરે ! એના શ્યામ કેશકલાપમાં ગૂંથવા આણેલી સુવર્ણવેણીઓની કેવી વિડંબના થતી હતી ! શ્વેતકેશી પ્રિયતમાઓને નીરખીને આ યોદ્ધાઓનો શૃંગારરસ ચૂર્ણ ચૂર્ણ થઈ વેરાઈ જતો. એ વિચારતા : અરે ! યુદ્ધ પણ એક અજબ માદક પીણું છે ! એના નશામાં આટલાં વર્ષ વીતી ગયાં, એની સમજ જ ન પડી !
કેટલાક યોદ્ધાઓ ઘરઆંગણામાં આવી, પોતાના જ પુત્રોને પોતાનું ઘર પૂછતા હતા, અને કહેતા કે “ભાઈ ! કોઈ અમારા ચિરંજીવી અનિલકેતુને શેરીમાંથી બોલાવી લાવો ને ! એને કહેજો કે તારા પિતા આવ્યા છે !'
એ પુત્ર હસી પડતો, ને માતાને જઈને કહેતો કે કોઈ મહેમાન આવ્યા છે. શરીર પર ભારે શસ્ત્રો છે ને અનેક ઘા પડ્યા છે. મુખમુદ્રાથી ડર ઉપજાવે છે. કહે છે, કે અનિલકેતુનો હું પિતા છું ! માતા, મારા પિતા તો થોડા વખત પહેલાં મરી ગયા, ને આ ભૂત મારો પિતા થવા આવ્યો છે.” ૩૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org