________________
૩૫
જોગી ને ભોગી
મધ્યાહ્ન થયો. ભરતદેવ હજી એ જ દશામાં બેઠા હતા. સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશતો હતો. પંખીઓ ગાતાં હતાં. સરિતા વહેતી હતી. ધેનુઓ ચરતી
હતી.
એક ખેડૂત એ વારે ત્યાંથી નીકળ્યો. એણે સુંદર એવા પુરુષને વડલાને છાંયે ધ્યાનસ્થ જોયો ! મુખ તેજનું પરિકર રચે છે. જ્યોતિ ઝગારા મારે છે. કાંતિ તો અનુપમ છે.
ખેડૂતે માન્યું કે કોઈ વનદેવતા હશે ! એ પાસે જઈને નમન કરીને બેઠો. માથે બેઠેલાં ચકલાંને ઉડાડ્યા ! એક ડાળખી લઈને ચમ્મર કરવા લાગ્યો.
થોડી વારમાં એ ભવ્ય પુરુષનો શ્વાસ ઘૂંટાતો હોય અને શરીર શોષાતું હોય તેમ લાગ્યું. એના સશક્ત ભોગળ જેવા બાહુઓમાં રહેલાં કડાં, એકાએક શરીર શોષાતા અને બંને કાંડાં પાતળાં પડતાં, આપોઆપ બહાર નીકળી આવ્યાં! ખણંગ કરતાં સુવર્ણકંકણ ખેડૂતની સામે આવી પડ્યાં !
ખેડૂત કણની દુનિયાનો માનવી હતો. એને સુવર્ણ કરતાં આવી વ્યક્તિની સેવા-ઉપાસના અધિક મૂલ્યવાન હતી. એ સુવર્ણકંકણને સ્પર્શે પણ નહિ. પાંદડાની ડાળીથી હવા નાખતો નાખતો એ તો બેસી જ રહ્યો.
થોડી વારે ધ્યાનસ્થ પુરુષ જાગ્યો. એણે પોતાની સામે ખેડૂતને જોયો; એની સામે પડેલાં કડાં જોયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org