________________
પટરાણી સુભદ્રાનું આ અજબ સામર્થ્ય ! અને એ સામર્થ્ય આજ અયોધ્યાની એક સામાન્ય રૂપવતી સ્ત્રીની પાસે અપમાન પામતું હતું !
પ્રતિશોધની વૃત્તિ જાગી ઊઠી. રાણીનું રૂપભર્યું અંતર પોકાર પાડી ઊડ્યું :
સુંદરી! તું ભલે ગમે તેવી રૂપગુણની મૂર્તિ હો, પણ આજે તો તું મારા જીવનનો પ્રત્યવાય બની છે –
સુંદરી ! તું મારા સુખના સૂર્ય આડેની ઘોર અંધારી રાત છે – મારા અને તારા વચ્ચેના અસ્તિત્વના વિવાદમાં તારે ખોવાઈ જવું પડશે.” મહાદેવી સુભદ્રા ઊંડા વિચારમાં ઊતરી ગયાં.
અરે ! સુંદરી તે એવી કઈ અજબ રૂપ પ્રતિમા છે, કે ભરત–બાહુબલી એની પાછળ ઘેલા બન્યા છે, એના નામ પાછળ દીવાના બન્યા છે ! પુરુષો વિચિત્ર હોય છે. ઘણી વાર ઘરઆંગણે વહેતાં સરિતાનાં સુભગ નીર છોડી, ઝાંઝવાનાં જળ પાછળ એ દોડે છે ! પ્રાપ્ત પંખી કરતાં અપ્રાપ્ત પંખીનો એને વધુ મોહ હોય છે.
અયોધ્યાના રાજમાર્ગ પર માનવ-મહેરામણ ઊમટી રહ્યો હતો. તેઓ વિચારમગ્ના મહાદેવી સુભદ્રાનું અલૌકિક રૂપ નીરખીને કહેવા લાગ્યા કે રૂપ તો ઘણાં જોયાં, સ્ત્રીઓ પણ ઘણી જોઈ, પણ આવું સ્ત્રી-રૂપ જીવનમાં પહેલી વાર જોઈએ છીએ. સ્વર્ગમાં પણ આવું રૂપ હશે કે નહિ તેની શંકા છે.'
ગૌરવર્ણા મહાદેવી થોડી વાર દિવસની કુમુદિનીની જેમ પોપચાં ઢાળીને ધ્યાનમગ્ન રહ્યાં. પણ ઉનાળે પલાશ વૃક્ષ પર કેસરિયા રંગનાં કેસૂડાં ખીલી નીકળે, એમ થોડી વારમાં આખા દેહનો ગૌર વર્ણ ગેરકાંચન જેવો લાલ બની ગયો. મહાદેવી સુભદ્રા મણિમાણેકમાંથી કંડારેલી પ્રતિમા જેવાં દીપી રહ્યાં.
થોડી વારે એ અણિયાળાં લોચન ઊઘડ્યાં. એમાં યજ્ઞની અગ્નિજ્વાળાઓ ભડભડતી દેખાઈ. ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ એ નજર સામે પળભર મીટ માંડી ન શક્યા.
સમરભૂમિના રણખેલ જુદી વસ્તુ છે; સુંદરી સાથેના નજરખેલ જુદી વસ્તુ છે. રૂપ અને સામર્થ્યની પ્રતિમા મહાદેવીની નજર સાથે નજર મિલાવવી, પુરુષાતનની પરીક્ષા હતી.
મહાદેવીએ લોચન ઉઘાડી માનવમેદની નિહાળી, અને પોતાને અહોભાવથી નીરખી રહેલી પ્રજાને જોઈ ક્ષણિક શાંતિ અનુભવી. પણ ત્યાં
એક નર ને બે નારી ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org