________________
વચ્ચે રાણી અને બંને બાજુ બે ભાઈ! વચ્ચે ધૂંધવાતો અગ્નિ ને બે બાજુ જાણે ઘૂઘવતા જળસાગર ! સહુ જોઈ રહ્યા કે અગ્નિ જળને પી જશે, કે જળ અગ્નિને ?
રાણી વચ્ચે બેઠાં. પણ રાજા બાહુબલથી છેટાં છેટાં રહેતાં હતાં. પટકુળનો પાલવ કે દેહનું એકાદ અંગ પણ સ્પર્શ ન પામી જાય, તેની એ ખેવના રાખતાં , હતાં. એમનું વક્ષસ્થળ ખૂબ ઊછળતું હતું. ને વ્યાઘ્રચર્મની કંચુકી તૂટું તૂટું થતી હતી.
રાણી આજે રાણી રહ્યાં નહોતાં, પણ પોતાનો પતિ જાણે શોક્ય લઈ આવ્યો હોય, એવી લાગણી અનુભવતાં હતાં.
બાહુબલ એમની આંખનો પાટો બન્યો હતો.
ભરતદેવ બે ક્ષણ બધું નિહાળી રહ્યા, પછી પોતે ઊભા થયા. અને એમ કરતાં એક ધીરો ધક્કો પટરાણીને લગાડ્યો. રાણી અથડાયાં રાજા બાહુબલના દેહ સાથે. જાણે પોતાની દેહને અંગારો ચંપાયો હોય તેમ તેઓ ઝણઝણી ઊડ્યાં.
રાજા બાહુબલે મીઠું હાસ્ય કર્યું. ભરતદેવે ઊભા થઈને પ્રજા સમક્ષ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
“પ્રજાજનો ! યુદ્ધનાં અંધારાં આથમી ગયાં છે, ને શાંતિનો સૂર્ય ઊગ્યો છે. આ સમાચાર તમને સહુને આસાયેશ આપશે જ. | ‘આ યુદ્ધ કેમ થયું ? ને આખરે કેવી રીતે કોની જીત થઈ તે મારે સ્પષ્ટ રીતે તમને જણાવી દેવું જોઈએ. યુદ્ધ તો એક એવો વાવંટોળ છે, કે એમાં તણખલું કે તલવાર કંઈ સમજાતું નથી. યુદ્ધનું મૂલ્યાંકન યુદ્ધ પૂર્ણ થયા પછી જ થઈ શકે.”
ભરતદેવે પોતાનું વક્તવ્ય થોભાવ્યું, સભા તરફ જોયું ને પછી એ આગળ બોલ્યા :
‘તમને હું જરા પૂર્વ ઇતિહાસ આપીશ. છ ખંડ જીતીને હું અયોધ્યામાં આવ્યો. મારો અભિષેક-ઉત્સવ ચાલુ થયો, પણ બે દેહ અને એક હૃદયવાળા અમે બંને ભાઈ હતા, છતાં મારો નાનોભાઈ બાહુબલ એ ઉત્સવમાં ન આવ્યો– ન જાણે એને શું માઠું લાગ્યું હશે ! પણ રાજકારણમાં તો હંમેશાં દાઝેલાને ડામ મળે છે.' છેલ્લા શબ્દો પર વજન આપીને ભરતદેવ ચૂપ રહ્યા. સભા શાંત હતી.
અંતરવેદના જ ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org