________________
પાછા ફરવાને બદલે ઊલટા આગળ વધીને એનું સ્વાગત કરવા ધાર્યું ! તે થોડો આગળ વધીને ચક્રની સામે ઊભો રહ્યો !
ક્ષણવારમાં કટકેકટકા કરી સંહારી નાખનાર ચક્ર હવે સાવ સમીપ જ હતું. પણ બાહુબલ તો નિર્ભીક રીતે ખડા હતા. જેવું નજીક આવ્યું. એવી એની ધૂરા બાહુબલે સ્પર્શી લીધી.
ફરી પાછો એવો જ પોકાર પડ્યો : ‘ચક્રરત્ન સગોત્રને હણી શકશે નહિ !' સાગરના કિનારાને સ્પર્શીને જલતરંગ પાછા ફરે એમ ચક્ર પાછું પડ્યું. ચક્ર કાર્ય સિદ્ધ કર્યા વગર પાછું ફર્યું ! સંસારમાં ન બનેલો બનાવ બન્યો !
રે ચક્રવર્તી ! તારા ચક્રની લાંછના થઈ. સંસારમાં હવે તું ચક્રવર્તી શાનો? ભંડો લાગ્યો, ભલા માનવી!
સૈન્યોએ પોકાર પાડ્યો. અયોધ્યાની સુંદરીઓએ હતાશા ને નિરાશાના ચિત્કારો કર્યા.
ભરતદેવને દિશાઓ ફિટકાર આપવા લાગી. આ સમયે ભરતદેવની આંખોમાં જાણે લાલ હિંગળો પુરાયો. એમના મેરુ જેવા અડોલ દેહમાં કંપ પેઠો. સુંદર કેશવાળી ઊભી થઈ ગઈ.
‘રે કૃતની બાહુબલ ! તેં મોટાભાઈની જ અવહેલના કરી ! એના દરિયાવ દિલને ન પારખ્યું ! ધિક છે તારું જીવન !'
ને ભરતરાજે છલંગ દીધી. હનુમાન આકાશમાં ઊડે, એમ ભરતદેવ હવામાં ઊડ્યા, ને જઈને પડ્યા બાહુબલની સમીપમાં.
પડતાંની સાથે ભરતદેવે પોતાની મુક્કી ઉગામી અને ભયંકર વેગથી બાહુબલના માથામાં પ્રહાર કર્યો !
ચક્રવર્તીની મુષ્ટિ ! વજ પણ ભેદાઈ જાય, તો હાડચામના બાહુબલની શી તાકાત ?
હવામાં ભયંકર પ્રાણપોક ગાજી રહી.
મુષ્ટિ બરાબર બાહુબલના માથા પર, ને વજદેહી બાહુબલ પૃથ્વી ભેદીને કમર સુધી ભૂમિમાં ઊતરી ગયા.
રે ! કાયાનો તો છૂંદો થઈ ગયો ! પણ પૃથ્વીમાતાએ પૃથ્વીનાથના પુત્રને બચાવી લીધો. એણે જો પોતાના દેહમાં માર્ગ ન આપ્યો હોત તો બાહુબલનો આજ વિનાશ જ હતો. ૧૭૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org