________________
‘રાજના નિયમો ને ધર્મના નિયમો વિષે અમારે વિશેષ ચર્ચા કરવી નથી; આપ સ્વયં એ જાણો છો. અમે તો આ પૃથ્વીમંડળનું ચિત્ર આપની પાસે રજૂ કરવા માગીએ છીએ. આ પૃથ્વીની ઇમારત કેમ સર્જાઈ, કેવા પ્રયાસે સર્જાઈ, એ આપને યાદ આપવાનો અમારો આશય છે.’ વિદ્યાધરોએ પોતાની વાતને વિશેષ સચોટ કરવા કહ્યું.
ભરતદેવ શાંતિથી બેસી રહ્યા. ધૈર્યના સાગરસમી એમની મુખમુદ્રાની નીચે કોઈ આછા વડવાનળો ઘૂઘવતા હોય એવું લાગતું હતું.
વિદ્યાધરો બોલ્યા :
હરીભરી આ સૃષ્ટિ, જે મહામહેનતે મંડાણ પામી છે, એની કથા અમે આપને સુણાવીએ છીએ. માણસ અને સર્પ બે સમાન રીતે કોઈ કાળમાં જીવતાં. સર્પ સર્પનો ખોરાક એમ માણસ માણસનું ખાદ્ય અને ખાયક. માણસ લાંબું ન જીવતો. એમાં હવા-પાણી સમ બન્યા. માણસ લાંબું જીવવા લાગ્યો. હવે એને ખોરાકનો તૂટો પડ્યો. એ પશુઓનો શિકારી બન્યો.
‘એમાં ભગવાન ઋષભદેવ આવ્યા. એમણે પશુપાલન શીખવ્યું; દુનિયાને બતાવ્યું કે પશુને મારવા કરતાં એને પાળવામાં વધુ કલ્યાણ છે.
‘માણસ પશુપાલક બન્યો. એણે પ્રથમ ગાય પાળી. પોતાનાં પશુ માટે ચારો તૈયાર કર્યો. એમાંથી ખેડૂત જન્મ્યો. ભગવાને ખેતી શિખવાડી.
‘ખેડૂતે સહુપહેલાં જવ વાવ્યા. અન્ન ઊભરાવા લાગ્યું. ભગવાને એને ઘર બાંધતાં, ખેડ કરતાં શીખવ્યું. ખેડૂતે ખેડની રક્ષા માટે પ્રથમ ગાય ને પછી કૂતરો પાળ્યો.
“ખેડૂતને ખેતીમાં માણસની જરૂર પડી. એ વહાલસોયો બન્યો, કુટુંબી બન્યો. એ પ્રેમમૂર્તિ બન્યો. પ્રકૃતિ પણ પ્રેમાળ બની.
‘ભગવાને પોતાના જીવન દ્વારા સહુને સમજાયું કે પ્રેમ પર જ જગતનું પુનર્વિધાન છે. એ સૃષ્ટિમાં આજ યુદ્ધ દ્વેષ લાવી રહ્યું છે. પિતાજીની પ્રેમસૃષ્ટિ નાશ પામી રહી છે. કંઈક કરો !’
ભરતદેવ સાંભળી રહ્યા. એ વિચારમગ્ન બન્યા હતા. થોડી વારે જાગતા હોય તેમ બોલ્યા :
‘બાહુબલે નમવું જ જોઈએ – એ અમારો અડગ નિરધાર છે. એ સિવાય બીજો કોઈ માર્ગ હોય તો બતાવો.’ ભરતદેવે કહ્યું. એ ખૂબ જ વિચારમગ્ન હોય તેમ વળી બોલ્યા : ‘એટલી મારા તરફથી ખાતરી આપું છું કે આ યુદ્ધ પહેલું અને છેલ્લું હશે.’
વિદ્યાધરોની વિષ્ટિ * ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org