________________
રૂપરૂપના અંબાર સમાં રાણીને નીરખીને તેઓની સ્વર્ગની અપ્સરા વિષેની કલ્પના પણ ઝાંખી પડી જતી હતી.
શૃંગારરસનો સર્વ કસબ એ એક નારીદેહમાં સમાયો હતો. કવિની કોઈ કલ્પના એ રૂપરાશિને મૂલવવા શક્તિમાન નહોતી.
આમ ભરતદેવના વીરરસ ને પટરાણી સુભદ્રાના શૃંગારરસના સંમિલને લોકહૃદય પર મોહિની જમાવવા માંડી હતી. અને એ હૃદયોમાંથી ઊઠેલી જયજયકારની ભરતી, પૃથ્વીની દીવાલો ભેદીને દિગન્તને ગજાવતી હતી.
શત્રુમાત્રનો સંસારમાંથી છેદ ઉડાડનાર અરિહંતા ભરતદેવના શાસનનો જય હો !” પૂર્વ દિશાના જનગણે જયકાર કર્યો.
પશ્ચિમ દિશાના જનગણે એ જયકારને ઝાંખો પાડે તેવા જોરથી જયધ્વનિ ઉચ્ચાર્યો : “છ ખંડના વિજેતા, પૃથ્વીના પ્રથમ ભારત–બાહુબલીનો જય હો!
દક્ષિણ દિશાના લોકો અત્યાર સુધી દાક્ષિણ્યમાં મૌન હતા. એમણે પણ ઉમંગમાં આવીને બધા સ્વરોને આવરી લેતો ગગનભેદી ચિત્કાર કર્યો : “આર્ય અને અનાર્ય કુળોમાં ઋષભશાસન પ્રવર્તાવનાર શ્રી ભરતેશ્વરનો વિજય હો !”
ઓતરાદી દિશાના લોકો બધું નીરખવામાં ભાન ભૂલી બેઠા હતા. તેઓને પાછળ રહ્યું પોસાય તેમ નહોતું. તેઓએ ભક્તિભાવભર્યા શબ્દોમાં મેઘગર્જના જેવા સ્વરે કહ્યું : “દેવ, વિદ્યાધર ને વ્યંતરોથી સેવિત ભરતબાહુબલીનો વિજય હો !”
ભરત–બાહુબલીએ આ જયજયકારમાં પોતાનું ગર્વોન્નત મસ્તક ટટ્ટાર કર્યું; સમુદ્રના તરંગોની જેમ પ્રસરેલા લોકસમૂહ પર એક ઊડતી નજર નાખી; અને રાણી સુભદ્રા તરફ જોઈને કહ્યું :
દેવી !' ઋષભશાસન – પિતાજીનું શાસન – એ તો નર્યું પ્રેમશાસન હતું. પૃથ્વીની વિશાળતા કરતાં પ્રેમની વિશાળતા, એ એનું સૂત્ર હતું. પણ પૃથ્વીને એક તંતુએ બાંધવા માટે, એક અને અખંડ શાસન સર્જવા માટે તો ભયનો વપરાશ જરૂરી છે. મેં તો જોયું છે કે શું સ્ત્રી કે શું શાસન, બંને સ્થળે ભય વિના પ્રેમ નથી !” ચક્રવર્તીદેવે સ્વાભાવિક વાત કરતાં કરતાં પટરાણીને ચીમકી આપે તેવું વ્યંગ્ય બાણ છોડ્યું.
સામ્રાજ્યની બાબતમાં એ સત્ય હશે, સુંદરીઓની બાબતમાં એ અસત્ય છે. પ્રેમ વિના પ્રેમ નથી ! અગ્નિમાંથી પુષ્પ કેમ પ્રફુલ્લે ?” મહાદેવી સુભદ્રાએ સ્ત્રીઓનો પક્ષ લેતાં સંસ્કારી વાણીમાં કહ્યું. ૨ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org