________________
નગરપ્રવેશ
સંસારની સર્વપ્રથમ નગરી અયોધ્યાના આભમાં સોનાનો સૂરજ ઊગ્યો હતો. સંસારના પ્રથમ નૃપતિ ને જગતના પ્રથમ ત્યાગી ભગવાન ઋષભદેવના પટ્ટધર પુત્ર ભરતદેવ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરીને આજે નગરપ્રવેશ કરતા હતા.
નવખંડ ધરતીમાં નામના કરીને આવતા ચક્રવર્તીની સમૃદ્ધિને કોઈ સીમા નહોતી. સોના-રૂપાં વાટમાં ઢોળાતાં હતાં. મણિ-માણેક હસ્તીસેનાના પગમાં ચગદાતાં હતાં. અશ્વોની કોટે હીરાના હાર લટકતા હતા. એકને જુઓ ને એકને ભૂલો એવી, જાણે પરવાળાંની બનેલી ન હોય એવી અનેક પદ્મિની સ્ત્રીઓ સાથે હતી !
ગર્વથી ગગનને સ્પર્શતા ભારતી સૈન્યના યોદ્ધા દિલહર ને મનભર રીતે ડોલતા ચાલતા હતા.
અયોધ્યા આજે કોડીલા કંથને ભેટવા જતી નવવધૂ જેવો શણગાર સજીને ખડી હતી. દરેક પાટનગરીને નવો ભૂપાલ સાંપડે ત્યારે એ નવયૌવનાની જેમ પાંગરે છે. પ્રજા પણ પોતાના નવખંડવિજયી સ્વામીને નિહાળી વેંત વેંત કૂદી રહી હતી.
માતાઓ ભારત જેવા પુત્રની, યુવતીઓ ભરત જેવા સ્વામીની ને સૌભાગ્યવતીઓ ભરત જેવા ભાઈની ઝંખના કરતી હતી. કુમકુમના વરસાદ વરસતા હતા. કેસરનાં રંગછાંટણાં થતાં હતાં.
યુદ્ધદેવ જેવા ભરત–બાહુબલી, પોતાનાં પટરાણી મહાદેવી સુભદ્રા સાથે. ધીરે ધીરે રાજમહેલ તરફ આગળ વધી રહ્યા હતા.
નગરજનો પટરાણી સુભદ્રાને આજે પ્રથમ વાર જ નીરખતા હતા, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org