________________
૧૯
રૂપને રૂપ ખપે
પુણ્યસલિલા ભાગીરથીનાં નીર ચૂપચાપ વધે જતાં હતાં. ગગનના ગેબી ઘુમ્મટમાં રહેલા તારલિયાઓ એ જળમાં પોતાનાં પ્રતિબિંબ નિહાળી થનગન નાચી રહ્યા હતા. કૃષ્ણપક્ષની રાત્રિ હતી. ગંગાના બંને તટ પર સામસામે ચક્રવર્તી ભરત અને રાજા બાહુબલની સેનાની શિબિરો પડી હતી.
પહેરેગીરોનાં શાંત રાત્રિમાં ગાજતાં પગલાં સિવાય, બધે નીરવ શાંતિ હતી. ક્યાંક તાપણાં જલતાં હતાં. ક્યાંક ઘોડાઓ ખૂંખારતા હતા. યોદ્ધાઓ આવતા યુદ્ધને વધારવા માટે સ્વચ્છ થવા ગાઢ નિદ્રા માણી રહ્યા હતા.
આવતી કાલ કેવી ઊગશે, એનું કોઈને હૈયાધારણ નહોતું. યુદ્ધમાં કદાચ વિજય સાંપડે, પણ એ વિજય માટે પોતાનો ભોગ અપાયો હોય તો....એટલે સૌને મન આજની ઘડી રળિયામણી હતી. - ગંગાના એક કાંઠે ભરત ચક્રવર્તીની વિશાળ સેના પડી હતી. યોજન સુધી એનો પથારો હતો. નાખી નજર પહોંચતી નહોતી.
સેનાના અગ્રભાગમાં ચક્રરત્ન સ્થાપવામાં આવ્યું હતું. સૂર્યના આરાઓ જેવા એના આરા ધીમા ધીમા ઘૂમ્યા કરતા હતા અને એનો ઝળહળાટ બધી શિબિરો પર પથરાતો હતો. ચક્રની ગતિનો અવાજ—કોઈ ભૂખ્યો વાઘ કણસતો હોય તેવો—દૂર દૂર સુધી પથરાતો હતો. વિંધ્યાચળના વનહાથીઓ જેવા એક હજાર સામંતો એને વીંટળાઈને પડ્યા હતા.
ભરતદેવની શિબિર ગંગાના પ્રવાહથી થોડે જ દૂર હતી. ને એના ઊંચા શિખર પરનો વૃષભધ્વજ અને પ્રકાશ વેરતો રત્નદીપ દૂર દૂરથી નજરને આકર્ષતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org