________________
હવે સ્ત્રી અને પુરુષ વિલાસ કરતાં કરતાં વિચારમગ્ન બની જાય છે; ગૂંથવા લીધેલી વેણી અડધે રહે છે, દેહ પર ચર્ચવા લીધેલાં વિલેપનનાં કચોળાં એમનાં એમ પડ્યાં રહે છે. અને સહુ શત્રુની કલ્પનામાં – શત્રુને હણવાના વિચારમાં ગૂંથાઈ જાય છે.
પોતાની પ્રિયતમા માટે ફૂલશમ્યા પાથરતો રસિક નર યુદ્ધના વિચારમાં અન્યમનસ્ક બની જાય છે, ને શણગાર સજીને આવતી રસિકાને શત્રુ માની સંહારવા દોડે છે. દોડીને એને ચોટલે પકડે છે. એનાં ગાત્ર કરડી ખાય છે. એના વસ્ત્રના લીરા કરી નાખે છે !
પ્રવાસે ગયેલા નગરવાસીઓ કંઈકંઈ વાતો લઈને પાછા આવે છે. કેટલાક વાતો લાવે છે, કે શત્રુઓના મનમાં તક્ષશિલાની સુંદરીઓ વસી ગઈ છે. જીતીને એ બધી સુંદરીઓને પોતાના રાજમાં લઈ જશે ! પુરુષોને તક્ષશિલા સોંપી દેશે.
આ સમાચાર જ્યાં જ્યાં પ્રસર્યા ત્યાં ત્યાં બે પ્રકારનાં પરિણામ આવ્યાં. હિંમતવાન સ્ત્રીઓ ગર્જી ઊઠી ને મરવા–મારવાનું વ્રત લેવા લાગી. રસિક છતાં મૃદુ સ્ત્રીઓ આ સુંદર પ્રદેશ, પોતાની હેતાળ સખીઓ અને મનગમતા પુરુષોને છોડીને જવું પડશે, એ બીકે ઘરમાં ભરાઈ ગઈ ! એ હવે પુરુષને છોડતી નથી, પુરુષને ક્યાંય જવા દેતી નથી !
આખો પ્રદેશ દિનપ્રતિદિન પોતાની સુંદરતા છાંડી રહ્યો છે. જ્યાં કોઈ ખાદ્યનો સંગ્રહ ન કરતું, ત્યાં આજ સંગ્રહ થઈ રહ્યો હતો. અને અન્નનો સંગ્રહ થયો એટલે એ ભણવા જીવજંતુ ઊભરાઈ ઊઠ્યાં ! કીડીનાં દરા ખદબદવા લાગ્યાં. ઉદર તો ધામા નાખીને પડ્યા. સાપ પણ હવે દરરોજ દેખા દે છે !
કેટલાક દેશપરદેશ ફરનારા સાર્થવાહો કહેતા : “અરે ! યુદ્ધ તમે ક્યાં જોયું છે ? યુદ્ધમાં અન્ન ખૂટે તો માણસ પંખી ખાય, પશુ ખાય; એ ન મળે તો મૂળ, પત્ર ને પુષ્પ ખાય; એ ન મળે તો માણસ માણસની માટી ખાય ! માટે અન્નનો સંગ્રહ કરો.' કાયદાથી અન્ન ખાવાનો પહેલો હક્ક લડી શકે તેવા જુવાનોનો. વૃદ્ધોને તો માપથી અન્ન આપો – ભલે અડધા ભૂખ્યા રહે. બાળકોને માનું ધાવણ આપો. એ ન મળે તો મધના પૂડા આપો, જાનવરનાં દૂધ આપો !” બાળક કે જેણે આજ સુધી માના દૂધ સિવાય બીજું દૂધ પીધું નહોતું,
જાગતો યુદ્ધનાદ ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org