________________
સ્વતંત્રતા અમારા જન્મ સાથે જડાયેલી વસ્તુ છે. અહીં કોઈ પતિ પોતાની પત્નીની કે પિતા પોતાની પુત્રીની સ્વતંત્રતા હણી શકતો નથી, તો પછી આપણે અધીનતા કેમ સ્વીકારી શકીએ ? સંક્ષેપમાં, અમારે સ્વાધીનતા ખોવી નથી, યુદ્ધ લડવું નથી. અમારે અન્યનું કંઈ જોઈતું નથી, અમને અમારા ઘરમાં સુખે વસવા દો !' કેટલાક પ્રજાજનોએ કહ્યું.
આ વખતે રાજદૂત હંસ ઊભો થયો. થોડીક વધુ સ્પષ્ટતા કરવા માટે એણે રાજા બાહુબલની અનુજ્ઞા માગી.
રાજાએ અનુજ્ઞા આપી.
દૂત હંસે રાજસભા પર વેધક નજર નાખતાં કહ્યું : મંત્રીવર્ગ અને પૌરજનો ! તમે રાજાજીને કંઈક સલાહ આપો, એ પહેલાં મારી થોડીક વાત સાંભળી લો. હું એક ચક્રવર્તી રાજાનો સંદેશો લઈને આવ્યો છું. એ ચક્રવર્તીદેવ રાજા બાહુબલના મોટાભાઈ થાય છે, પણ એ સગપણ સંબંધથી તમે ભૂલ ન ખાશો. ચક્રવર્તી માટે અનિવાર્ય મનાયું છે કે, એની તાબેદારીમાં પૃથ્વીના તમામ રાજા હોવા જોઈએ. અહીં ભલો રાજા કે બૂરો રાજા એ કંઈ જોવાતું નથી. રાજકારણ એવું છે કે, આજનો ભલો કાલનો બૂરો હોય છે; આજનો બૂરો કાલનો ભલો હોય છે. એમાં તો માત્ર આજ્ઞાવર્તીત્વનો સવાલ છે. ચક્રવર્તી મહારાજ ભરતદેવની ઉદારતા જગવિખ્યાત છે. એમણે દરેક રાજાની અધીનતા અવશ્ય લીધી છે, બાકી ત્યાંની કાષ્ઠની એક સળી પણ સ્વીકારી નથી ! રાજા ઘણા જોયા પણ ભરતદેવથી હેઠ !”
દૂત આટલું બોલીને થોભ્યો. રાજા બાહુબલે વચ્ચે દૂતને સાવધ કરતાં કહ્યું : “તું માત્ર વિગત કહે. તારા પ્રચારકાર્યની કે પ્રશંસાકાર્યની અહીં અગત્ય નથી. જીભમાં મધુ રાખી, અંતરમાંથી હલાહલ વિષ પ્રસારવાનો નિરર્થક યત્ન કરીશ મા !”
“રાજાજી! આપ સાશંક બન્યા છો, એટલે આપને દોરડામાં સાપ દેખાય છે, પણ હવે મારું કથિતવ્ય જ હું પૂરું કરીશ. ટૂંકમાં વાત એટલી છે, કે ચક્રવર્તી રાજા માટે સર્વ રાજ્યોની અધીનતા અપેક્ષિત છે. હું આપ સર્વેની પાસે અધીનતાના સ્વીકારનો પ્રસ્તાવ લઈને આવ્યો છું !”
‘એ પ્રસ્તાવને અમે ઠોકર મારીએ છીએ !” કેટલાક ઉતાવળા પૌરજનો વચ્ચે જ બોલી ઊઠ્યા.
મહાશયો, માઠું લાગે તો માફ કરજો ! પ્રસ્તાવને ઠોકર મારીએ છીએ, ૧૧૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org