________________
એક હું છું ! મને નમાવ્યા સિવાય, મને તમારો ખંડિયો બનાવ્યા સિવાય, તમે કોઈ યુદ્ધવિરામ કરવા ઇચ્છતા નથી. અને એટલે જ ચક્રરત્ન બહાર સજ્જ રાખીને મારી રાહ જોવા ખડા છો ! દૂત, તું મને મારું અપમાન કરાવવા માટે ભોળવીને લઈ જવા આવ્યો છે ! પણ સાંભળી લે કે બાહુબલના જીવનના શબ્દકોશમાં બે જ શબ્દો છે : સ્વમાન કાં મૃત્યુ !'
‘રસેશ્વર રાજવી ! ભૂંડી શંકાઓમાં ન પડો. સંસાર તો જેવો જોઈએ તેવો દેખાય. આપે અર્થનો અનર્થ કર્યો, પણ એ ક્ષતિ મારી છે. ચક્રવર્તીદેવના પ્રેમમાં કંઈ પણ ક્ષતિ નથી. અરે ! જ્યાં અમૃતની વર્ષા છે ત્યાં અગ્નિની જ્વાલા પ્રગટ ન કરશો. દૂધસંબંધ છે, ત્યાં રક્તનો શાપ ન વર્ષાવશો હું આ રાજસભાના મંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ પોતાના રસેશ્વર
રાજવીને પોતાની રીતે સમજાવે !”
રાજદૂત હંસે આ વાક્યો ગળગળા સાદે ઉચ્ચાર્યા. આખી સભા પર તેની અસર થઈ. રાજા બાહુબલના મંત્રી પ્રણયચંદ્રે ઊભા થઈ કહ્યું :
હે મહામના મહારાજ ! ખોટી શંકામાં સંસારનો વ્યવહાર ન બગાડશો. આપમાં વિરસ વર્તાવ હશે, તો સંસારમાં સરલ વ્યવહાર નહિ રહે ! ભાઈએ ભાઈ લડશે તો, આંખો લાલ રહેશે. લોકને માર્ગ બતાવનારા આપ પોતે આજે માર્ગ કાં ભૂલો ?”
મંત્રીરાજ ! તમે તમારા રાજાને એક અધીન અને ગુલામ બનેલો જોવા ઇચ્છો છો ?”
‘ના મહારાજ ! અમારા રાજાની સ્વતંત્રતા હણનારની સામે અમારો ભયંકર કોપ જાગે.’
તો જાણી લો, કે ચક્રવર્તીને નથી હોતાં ભાઈભાંડુ કે નથી હોતાં સગાંસ્વજન ! ત્યાં તો માત્ર બે વર્ગ હોય છે, શાસક ને શાસિત ! શાસિત બનવામાં હવે માત્ર હું એક જ બાકી છું; એ માટે ચક્રરત્ન થંભ્યું છે. એ માટે સામંતોએ હથિયાર હેઠાં મૂક્યાં નથી. હાથી પૂંછડે અટક્યા જેવું થયું છે. એ મને સામંત બનાવવા માગે છે, ખંડિયો રાજા બનાવવા ઇચ્છે છે. હું પૂછું છું કે આ મારા રાજ સાથે ભરતને શી નિસ્બત છે ? એ પિતૃદાન છે. ખોબો ભરતને મળ્યો છે; ચપટી અમને મળી છે. અમને ચપટીની ચીવટ છે, ખોબાની ઈર્ષ્યા નથી !”
રાજા બાહુબલ બોલતાં બોલતાં અડધા ઊભા થઈ ગયા. એમનો ચહેરો હિંગળોકિયો બની ગયો હતો. એ મનમોહન મૂર્તિ જોવા જેવી બની હતી.
બાહુબલના દરબારમાં × ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org