________________
એ દેહમૂર્તિને કલ્પનાની દેવમૂર્તિ જેવી મનમોહન બનાવતાં હતાં !
ચક્ષુઓમાં ચાતકના જેવી સ્વાતિની પ્રેમપ્યાસ હતી !
શબ્દોમાં જાણે હંસલા મોતીનો ચારો ચરતા હતા. ટૂંકામાં કહીએ તો પ્રતાપી પુરુષત્વ, અધીર યૌવન અને સુશ્રીભર્યું સૌંદર્ય–આ ત્રિવેણીનો સંગમ એટલે રાજા બાહુબલ !
રાજસભા હેકડેઠઠ ભરાયેલી હતી. એક તરફ સામંતો, મહાસામંતો, કોષાધ્યક્ષો અને કવિઓ બેઠા હતા; બીજી તરફ અંતઃપુરની એકને જોઈએ અને એકને ભૂલીએ તેવી રમણીઓ, અમાત્યો ને દરબારીઓ બેઠાં હતાં !
આ રાજ્યમાં વ્યભિચારી કે ચોર હજી સુધી જન્મ્યા નહોતા. રાજસભામાં ચર્ચા માત્ર ત્રણ વાતની થતી : એક સમય વિષે, બીજી ઋતુ વિષે, ત્રીજી રસ વિષે !
રાજદૂત હસે જ્યારે સભાપ્રવેશ કર્યો ત્યારે ચર્ચાનો ગંભીર વિષય એ હતો, કે સ્ત્રીઓએ ચાપ (તીર) ચલાવવાં કેમ છોડી દીધાં, ને હવે આ વખતે ‘સુવસંતિકા'ના ઉત્સવ વખતે રાજાજી પાસે કલાનૃત્ય માટે વસંતકુંવરી તરીકે કોણ સુંદરી વસંતનો વેશ સજીને જશે ?
પહેલા પ્રશ્નના જવાબમાં સ્ત્રીઓએ એવી દલીલ કરી હતી, કે સ્વાનુભવથી અમને એવું લાગ્યું છે કે પુરુષને ઘાયલ કરવા માટે અમારે ચાપની જરૂર નથી. અમારી પાસે ભૂભંગ નામનું સર્વોત્તમ ચાપ છે – ક્ષણ એકમાં ઘાયલ કરી નાંખીએ ! - બીજા પ્રશ્નમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે કુમારી સ્નેહમુદ્રાને જ આ વર્ષે વસંતકુંવરી બનાવવી. એ જ રાજાજીના નવા કલાનૃત્યની વારસદાર બનવા યોગ્ય છે. અને ભલે એ રાજાજીને પોતાનાં સ્વર ને શ્રુતિથી મહાત કરે !
રાજદૂત હંસનો પ્રવેશ થતાં એ ચર્ચા ત્યાં સ્થગિત કરવામાં આવી ને પોતાના વડીલબંધુ ભરતદેવનો દૂત છે, એ જાણતાં રાજા બાહુબલ પોતે એકદમ ઊભા થઈ ગયા, ને ભાઈને જ ભેટતા ન હોય, તેમ આગળ વધીને હંસને ભેટ્યા ! એ આશ્લેષમાં પણ પ્રવાસનો શ્રમ દૂર કરવાની પ્રેમશક્તિ હતી !
રાજદૂત હંસને આવો વિધિ સાવ અપરિચિત હતો. સેવ્ય ઊઠીને સેવકને આટલું આદરમાન આપે, એ વાત તેને ખુદ સ્વામી માટે ગૌરવહીન લાગી ! એણે મનમાં વિચાર્યું કે ક્યાં સૂર્ય સમા ભરતદેવ ને ક્યાં ખદ્યોત સમા બાહુબલ !
બાહુબલના દરબારમાં ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org