________________
જીવનનો ઉપભોગ, યૌવનનો ઉપભોગ, હરએક અવસ્થાનો જીવંત ઉપભોગ અહીં મુખ્ય હતો.
ભરતદૂત હંસે જેમતેમ પેલી સુંદર નવયૌવનાથી પોતાનો પીછો છોડાવ્યો, ને જે કર્તવ્ય માટે એ આવ્યો હતો તે કર્તવ્ય અદા કરવા માટે આગળ વધ્યો.
સમાનશીલ ને સમાનધર્મી સ્ત્રી-પુરુષ એ કંઈ એકબીજાંને નિરાંતે રમવાનાં રમકડાં નથી, એનું ભાન હંસને આજે અહીં થયું. એને લાગ્યું કે યુદ્ધે બીજું કંઈ અનિષ્ટ સરજાવ્યું હોય કે ન સરજાવ્યું હોય ભલે એ વિવાદનો પ્રશ્ન હોય–પણ પુરુષોની યુદ્ધપ્રિયતાએ સ્ત્રીના સ્વાતંત્ર્યને જરૂર હણ્યું છે. આવા આવા અનેક વિચારો હંસના ચિત્તતંત્રને ખળભળાવી રહ્યા. પણ એ આ નગરીમાં આવા વિચારો કરવા આવ્યો નહોતો; એ તો એક હાથમાં શાંતિ ને બીજા હાથમાં યુદ્ધ લઈને આવ્યો હતો ! એક આંખમાં અગ્નિ અને બીજી આંખમાં અનિલ લઈને આવ્યો હતો. એણે એ જ વિચારમાં સંલગ્ન રહેવું જોઈએ, નહિ તો આ સુંદર નગરી એનું આખું ભણતર જ ભુલાવી દે !
કોઈ રસિક સ્ત્રી પોતાને વસંતવિહાર ને ગીતગુંજન માટે ખેંચે નહિ એ ભયથી એ ઉતાવળો ચાલ્યો. જોકે એ વખતે એક વિચાર એના મનમાં આવ્યો પણ ખરો, કે મારા બદલે જો ખુદ ચક્રવર્તી મહારાજ ભરતદેવ, અહીં વિષ્ટિએ આવ્યા હોત તો, તેઓ પણ આ વાતાવરણમાં યુદ્ઘને બદલે પ્રેમની કવિતા કરવા લાગી જાય !
પણ ભરતદેવ એ ભરતદેવ હતા, ને પોતે એ પોતે હતો. હંસે પોતાની આવી મનોરમ વિચારસરણીને દાબવા માંડી. સહજ રીતે મુખ પર આવી જતી, મુખમાંથી સરી પડતી પ્રેમકવિતાને કચડીને અંતરના ભંડારિયામાં ઊંડે ભંડારી દીધી.
હંસે કદમ આગે બઢાવ્યા.
તક્ષશિલાના દરવાજા પર એ આવી પહોંચ્યો. એ વખતે ચંપક કાષ્ઠના રથમાં બેસીને, ચંપક પુષ્પના અલંકારો પહેરીને જતાં કેટલાંક રસિક નરનાર સામે મળ્યાં. તેઓએ પ્રતાપી હંસને જોયો, ને તેઓનું લક્ષ ખેંચાયું. રથના રૂપાળા ધોરીને થોભાવતાં તેઓ બલ્યાં :
અરે ઓ ભાઈ પરદેશી ! પ્રવાસથી આવતા લાગો છો. કપાળમાં કુમકુમ નથી, દેહ પર એકે પુષ્પ નથી, મસ્તક પર ફૂલમુગટ નથી ! આ શું ? કેવો
૯૨ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org