________________
બંસી વગાડનારી રસિકા પણ ઝાડ પરથી નીચે ઊતરી આવી ને રડતા સ્વરે બોલી :
“હું શું કરું ? બંસી એની એ છે, હું પણ બદલાઈ ગઈ નથી, પણ ન જાણે કોઈનો અપશુકનિયાળ પડછાયો પડ્યો કે મારા સૂર રેઢિયાળ થઈ ગયા છે !”
સહુ ચારેતરફ જોવા લાગ્યાં : કોણ છે એ દુષ્ટ આત્મા, જેના પડછાયે વેલ સુકાણી ? બંસીના સૂર ભડકામણા બન્યા ?
ત્યાં તો રાજદૂત હંસ ઉપર સહુની નજર પડી.
“અરે ! આ પરદેશીનાં જ આ કામ લાગે !” કહીને સહુ તેની આજુબાજુ ફરી વળ્યાં.
રાજદૂત હંસે જોયું કે વળી એની એ જ ઉપાધિ નવા અવતારે આવીને ઊભી રહી છે ! એ થાક્યો હતો. રસ, રૂપ ને ગંધની ઉત્કૃષ્ટ સૃષ્ટિમાં એ કમજોર બની ગયો હતો – મદ્યના મહાશોખીનને કસ્તૂરી ન રુચે તેમ !
પણ હંસ ચતુર પુરુષ હતો. એણે કેટલાય દેશ જોયા હતા, કેટલાય કૂવાનાં પાણી પીધાં હતાં. એણે આ નવી લપમાંથી છૂટવા નવી યુક્તિ શોધી. એણે કહ્યું : “જે નગરમાં એક પરદેશીને ઘરઘરની ઠોકરો ખાવી પડે, ને કોઈ રાજકચેરીનો રસ્તો પણ ન ચીંધે. એ પરદેશીના અંતરના ઊના નિઃશ્વાસ વેલને પ્રજાળે નહિ તો શું કરે ? બંસીને બસૂરી ન કરે તો શું કરે ?”
ભાઈ ! તું કોણ છે ? તારે શું કામ છે ?” બધાં બોલ્યાં. તેઓને પોતાની ભૂલ જાણે સમજાઈ હોય, એમ સહુ ઓશિયાળાં બની ગયાં.
‘હું કોણ છું એ ન પૂછો. તો મારું કામ હું કહું ? હંસે કહ્યું.એના તીરે ધાર્યું નિશાન પાડ્યું હતું.
‘કેવો વિચિત્ર માણસ છે ! અરે, ઓળખાણ આપવામાં તને કોઈ ખાઈ જતું હતું? ભલે, કામ કહે, નામ ન કહેતો, રે પરદેશી !
“મારે રાજા બાહુબલને મળવું છે. મને ત્યાં લઈ ચાલો. શરત એ કે માર્ગમાં તમારામાંથી કોઈએ મારી સાથે કંઈ વાત ન કરવી. કોઈ સુંદરીએ મને સથવારો ન આપવો.”
ભલે, ભલે, ચાલો !' બધાં બોલ્યાં, ને હંસને ઉપાડ્યો. થોડી વારમાં બધાં રાજા બાહુબલના દરબાર ભેગાં !
૯૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org