________________
દાંપત્ય પણ અહીં બહુ જ સહચાર પછી અનુભવાતું. દેહોપચાર માટે અહીં બહુ જ મર્યાદા હતી. કારણ કે એ મર્યાદા ન જળવાય તો જરા (વૃદ્ધાવસ્થા) વહેલી સ્પર્શી જતી, અને જેને જરા સ્પર્શતી એને તપ કરવા ચાલી નીકળવું પડતું. એવા માણસો આ સૌંદર્યનગરીમાં હડકાયાની જેમ હડધૂત થતા.
કહેવાય છે, કે અહીં દેહોપચાર એક વાર રસ માટે, બે વાર સંતાન માટે યોજાતો. સંતાનપ્રાપ્તિ પછી તો ક્વચિત જ દંપતી દેહની ભૂખથી મળતાં ! સંતાનોત્પત્તિ પછી એ ઝાઝું ન જીવતાં, ને જીવતાં તો સંતાન સિવાય એમના અંતરને બીજું સ્પર્શતું નહિ.
આનો અર્થ એ નથી કે આ નગરનાં નિવાસીઓ દેવદેવી જેવાં હતાં. દેવ-દેવી માટે એવું કહેવાતું કે એક વાર તેમના મનમાં સંકલ્પ થયા પછી, તેઓ મનોનિગ્રહ ન કરી શકતાં. પણ અહીંના માણસોને એવો સંકલ્પ કોઈ વાર થતો તો તેઓ મનોનિગ્રહ કરી જાણતાં.
અહીં સહચાર હતો, પણ અનાચાર કે અત્યાચાર નહોતો. લોકો પાસે અનાચાર કે અત્યાચાર કેવો હોય એની કલ્પના પણ નહોતી. અને એના કારણમાં આ પ્રદેશ પર હજી યુદ્ધ આવ્યું નહોતું. અને તેથી સ્ત્રીની સમાનતા અને સ્વતંત્રતા પુરુષના જેવડી જ – જેટલી જ મનાતી હતી.
સંસારનું એક પરમ સત્ય એ હતું કે જગતમાં યુદ્ધ આવ્યા પછી જ સ્ત્રીઓ પછાત પડી. કારણ કે સ્ત્રીઓને તરત જ ભાન થયું કે લોહી લેવામાં કે દેવામાં એમનો જીવ મુક્ત મને કામ કરી શકતો નહોતો. સંહારની કલ્પનાથી જ એ ધ્રૂજી ઊઠતી.
કોઈ વાતમાં પાછો કદમ ન મૂકનારી સ્ત્રીઓ યુદ્ધમાં આમ પછાત પડી, એટલે પુરુષ વિજેતા બન્યો, સ્ત્રીથી મોટો થઈ ગયો. યુદ્ધ બીજું કંઈ પરિણામ લાવે કે નહિ, પણ એ માણસની બુદ્ધિનું જન્મજાત સમત્વ તો અવશ્ય ખોવરાવી
અને એવો સમત્વવિહોણો માનવી પશુબલને સર્વશ્રેષ્ઠ બળ ગણે છે, ને પૃથ્વી પર નિર્બળને દબાવવામાં ધર્મ અને બળવાન પાસે નમવામાં ફરજ સમજતો થાય છે. બળવાન પોતે શ્રેષ્ઠ ને બીજા હેઠ એમ માનવા લાગે છે.
સંસારના વિકૃત ચિત્રના શ્રીગણેશ અહીંથી થાય છે.
પણ માનવ એ આખરે તો માનવ છે. યુદ્ધદીવાના આદમીમાં કદીક ૮૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org