________________
પરંતુ વિમળશાહને હવે રાજખટપટના ગદ્ય વાતાવરણથી તિરસ્કાર છૂટ્યો હતો. પાટણમાં જઈ ફરી છળ ને પ્રપંચથી ભરપૂર વાતાવરણમાં પડવાનું એમને મન ન થયું.
વિમળશાહને ચંદ્રાવતી ખૂબ પસંદ પડ્યું. હવે પછીનું જીવન અહીં જ ગાળવા એમણે નિર્ણય કર્યો, પણ કળાના પૂજારીને કદી સુંદરતા ને સુઘડતા વગરની વસ્તુ ગમતી નથી.
એ વખતનું ચંદ્રાવતી બહુ સામાન્ય હતું. રસ્તાઓ સુગમ અને સુંદર ન હતા. જળાશયો સ્વચ્છ અને જળથી ભરપૂર ન હતાં. બજારો અસ્તવ્યસ્ત હતી. વિમળશાહે આખા શહેરને એક મનોહર નગર બનાવી દેવાનો પ્રારંભ કર્યો.
ચંદ્રાવતીનું સમારકામ શરૂ થયું. જોતજોતામાં સુંદર રાજમાર્ગો, સ્વચ્છ જળાશયો, માર્ગ ઉપર છાયા માટે વૃક્ષો, અને પ્રવાસીઓ માટે આરામગૃહો તૈયાર થયાં. બજારો પણ વહેંચી નાખવામાં આવ્યાં. ઝવેરીઓ ઝવેરી બજારમાં, કાપડિયાઓ કાપડબજારમાં, તેલીઓ તેલબજારમાં, ગાંધીઓ ગાંધીબજારમાંએમ બધું વ્યવસ્થિત બની ગયું. ચંદ્રાવતી ખરેખર, અપૂર્વ બની. દેશ-પરદેશથી લો જોવા આવવા લાગ્યા.
વીર વિમળશાહની ઉમ્મર વધતી જતી હતી. રાજરંગ ને રણભૂમિ હવે ખારી લાગતી હતી. તલવાર જોઈને તો ધૃણા જ થતી. મન શાંતિ અને સંતોષના માર્ગ તરફ ખેંચાવા લાગ્યું હતું.
આ સમયે વિહાર કરતા જૈનાચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ ત્યાં પધાર્યા. તરસ્યાને પાણી મળ્યું. વિમળશાહે બધી રાજખટપટ છોડી ધર્મોપદેશ સાંભળવા માંડ્યો.
વિજયયાત્રા ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org