________________ આમ, યોગના લક્ષણથી આરંભાયેલો આ ગ્રંથ માત્ર 20 ગાથામાં જ ગાગરમાં સાગરને સમાવવાના ન્યાયે જૈનશાસનના મહાન યોગસાધનામાર્ગને અનેકાનેક દષ્ટિકોણથી સરખાવીને પૂર્ણતાને પામ્યો છે. પૂર્ણપદના સાધકો માટે પૂર્ણરૂપે પથદર્શક બન્યો છે. એમ કોઈપણ સહદથી વાચકને કહેવાનું મન થાય તેવી તેની અદ્ભુત ગુંથણી કરીને ગ્રંથકારશ્રીજી અને વૃત્તિકારશ્રીજીએ પૂર્ણપદના સાધકો ઉપર અવર્ણનીય ઉપકાર-વર્ષા કરી છે. સમગ્ર યોગમાર્ગનો આધાર, પાયો કે પ્રતિષ્ઠાન જૈનશાસનરૂપ તીર્થ છે. એ તીર્થનું પ્રવર્તન અને વહન વિશુદ્ધ જ્ઞાન-કિયામાર્ગના આસેવનથી થાય છે. માટે જ એવી વિશુદ્ધ જ્ઞાન-કિયા એ યોગરૂપ છે. એવી વિશુદ્ધ જ્ઞાનકિયાની સિદ્ધિ થવા માટે યોગગ્રંથોનો અભ્યાસ અને આસેવન ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. યોગવિંશિકા' ગ્રંથ જ્ઞાન અને ક્રિયામાર્ગના સમન્વયાત્મક એક અદ્ભુત ગ્રંથ હોઈ શ્રમણ-શ્રમણી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની આરાધનામાં ગુણવત્તા લાવવા માટેનું આદરણીય સંસાધન પૂરું પાડે છે. માટે જ આ ગ્રંથનો શ્રીસંઘમાં વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય, એનું અધ્યયન-અધ્યાપન વધે, એનાં રહસ્યોને સહુ જાણે અને એનો નીચોડ સૌના આચારઉચ્ચાર અને વિચારોમાં વણાઈ જાય એ માટેના પ્રયત્નના એક ભાગરૂપે યોગવિંશિકા ગ્રંથનાં વિવિધ સંસ્કરણો તૈયાર કરી સંઘ સમક્ષ મૂકવાનું કાર્ય અને પ્રારંવ્યું છે. યોગવિંશિકા પ્રકરણ ટીકા સહિત ગુજરાતી અનુવાદ અને તાત્પર્ય સાથેની આવૃત્તિ આ પૂર્વે અમે પ્રકાશિત કરી ચૂક્યા છીએ. આ ગ્રંથમાં પણ ચોક્કસ સુધારા-વધારા સાથે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે મૂળ સટીક ગ્રંથમાં પણ વર્તમાનમાં પ્રકાશિત અનેક પુસ્તકો તથા સૌ પ્રથમવાર છપાયેલ પુસ્તકનો આધાર લઈને ગાથા-૧, 12, 15 વગેરેમાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આ અગાઉની અનુવાદ સહિતની આવૃત્તિમાં 80 ભેદો અંગે જે સ્પષ્ટતા-Chart વગેરે રજુ કરેલ તે અન્ય ગ્રંથોના પાઠો જોતાં-વિચારતાં સંગત ન જણાતાં તે અંગેના ફેરફારો આ આવૃત્તિમાં ગાથા-૮ના અનુવાદમાં તથા ગાથા-૮, 9, 18, ૨૦ના તાત્પર્યમાં કરવામાં આવેલ છે. ગાથા-૧, 3 વગેરેમાં વિશેષ પાઠો ઉપલબ્ધ થતાં પદાર્થો સ્પષ્ટ થતાં ટીકાર્ય તથા તાત્પર્યમાં જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. વિભિન્ન ગ્રંથોમાંથી પાઠ શોધતાં જે જે પાઠો ઉપલબ્ધ થયા છે અને પદાર્થનું જ સ્વરૂપ જણાયું છે તે મુજબ ચોક્કસ ગાથાઓમાં યોગની ભૂમિકા પામવાની ઇચ્છાવાળો સાધકવર્ગ અન્યમાર્ગે ન ચડી જાય તે માટે પણ તાત્પર્યમાં ચોક્કસ સ્થાનોમાં વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ તાત્પર્ય વિ. સં. ૨૦૪૧માં યોગવિંશિકાનું ગુજરાતી વિવરણ કરતી વખતે તૈયાર કર્યું હતું અને તેને પરમતારક ગુરુદેવ વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ (ત્યારે મુનિરાજ)ની વર્ધમાનતપની ૧૦૦મી ઓળીની પૂર્ણતાના પ્રસંગે જે યોગવિંશિકા ગ્રંથ, ટીપ્પણો તેમજ તુલનાત્મક અભ્યાસ અને તાત્પર્ય સાથે પ્રકાશિત કરવાનું નિર્ધારેલ; પરંતુ તે સમયે અન્યોન્ય જવાબદારીઓ આદિવશ તે ગ્રંથ અપ્રકાશિત જ રહેલ. એમાં અન્ય જરૂરી મુદ્દાઓ ઉમેરી આ સંપાદન કર્યું છે.