SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ મોહનભાઈની સર્વસંગ્રાહક વૃત્તિનો અદ્ભુત દાખલો તો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ છે. ‘સંક્ષિપ્ત’ તરીકે ઓળખાવાયેલા આ ગ્રંથના પાનાં ૧૧૦૦ જેટલાં છે ને ‘જૈન ગૂર્જર કવિઓ’ના બીજા ભાગમાં પ્રસ્તાવના તરીકે મૂકવા ધારેલો લેખ (૨૦૦-૩૦૦) પાનાં ધાર્યા હોય; પહેલા ભાગમાં એવડો પ્રસ્તાવના લેખ છે. ૧૧૦૦ પાનાનાં ગ્રંથ રૂપે પરિણમ્યો છે ! મોહનભાઈ પછી હીરાલાલ કાપડિયાએ ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ના ગ્રંથો આપ્યા છે. ને હિંદીમાં જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસના કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે તેમ છતાં મોહનભાઈના ગ્રંથની ઉપયોગિતા ઓછી થઈ નથી એનું કારણ એ ગ્રંથનું સર્વસંગ્રહાત્મક સ્વરૂપ જ છે મોહનભાઈએ ઘણા હસ્તપ્રતભંડારો જોયેલા તેનો લાભ આ ગ્રંથને મળ્યો છે. આજે હસ્તપ્રતભંડારો કોણ જોવા જાય ? મોહનભાઈએ કૃતિઓના લેખનની એટલે કે લિપિબદ્ધ થયાની, કૃતિઓ સંશોધિત થયાની વગેરે માહિતી પણ આમેજ કરી છે. સાહિત્યના ઇતિહાસમાં આવી માહિતી કોણ નાંખે ? એક દૃષ્ટિએ સાહિત્યના ઇતિહાસમાં એ માહિતી અપ્રસ્તૃત પણ લેખાય, પણ આ પ્રકારના માહિતીસંચયે જ મોહનભાઈના ગ્રંથને અદ્વિતીય બનાવ્યો છે. મોહનભાઈના કાર્યનું મૂલ્યાંકન કરતી વેળા રામનાયક પાઠકે ‘જૈન ગુર્જર કવિઓ'ને અનુલક્ષીને કહેલા આ શબ્દો યાદ કરવા જેવા છે : ‘સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ જેણે થોડુંઘણુંયે કર્યું હોય તે જ સમજે છે.” (પ્રસ્થાન દીપોત્સવી અંક - ૧૯૩૮) મોહનભાઈના સાહિત્યનું ખરું મૂલ્ય સંદર્ભસાહિત્ય તરીકે છે અને સંદર્ભસાહિત્યના એ એક ઉત્તમ નિર્માતા છે. એમનું આ પ્રકારનું સાહિત્ય અનેક વિદ્યાકાર્યોને ઉપકારક બની શકે એવું છે, સંશોધનોને સામગ્રી અને દિશા પૂરી પાડે એવું છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને હરિવલ્લભ ભાયાણી કહે છે “દેશાઈના બંનેય આકરગ્રંથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઊઠાવતો આવ્યો છું અને ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના અનેક લેખકો-સંશોધકો પણ આજ સુધી એમ કરતા આવ્યા છે.” (ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૭) ‘જૈન ગૂર્જર કવિઓ'માં મધ્યકાળના સાતસો વરસના ધર્મ, સંસ્કાર, સમાજજીવન, ઇતિહાસની એવી સમાગ્રી સમાયેલી છે કે એને આધારે નાનામોટા અનેક સંશોધનલેખો તૈયાર થઈ શકે. મોહનભાઈએ સંગ્રહીત કરેલી સામગ્રીનો આવો અભ્યાસ થવો હજુ બાકી છે. સંદર્ભસાહિત્યમાં વિવિધ પ્રકા૨ની વર્ણાનુક્રમિક સૂચિઓ એક અનિવાર્ય અને અત્યંત મહત્ત્વનું અંગ છે. આવી સૂચિઓ વિના સંદર્ભ સાહિત્યનો ઘટતો ઉપયોગ થઇ શકતો નથી. મોહનભાઈની દૃષ્ટિ આ બાબતમાં આશ્ચર્યજનક રીતે લાંબે સુધી પહોંચે છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'માં કર્તાઓ, કૃતિઓ, પારિભાષિક શબ્દો, તીર્થો, ગચ્છો, કુલગોત્રો, સ્થળસ્થાનાદિ વગેરે ૨૨ વિભાગમાં વહેંચાયેલી લગભગ ૨૦૦ પાનાંની વર્ણાનુક્રમિક સૂચિ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’માં કર્તા, કૃતિસૂચિ, કૃતિઓની વર્ગીકૃત સૂચિ, ગદ્યકારોને ગદ્યકૃતિઓની સૂચિ, સ્થળ-સ્થાનાદિની સૂચિ, કૃતિઓની સાલવારી સૂચિ વગેરે કેવી વિવિધ પ્રકારની સૂચિઓ એમણે જોડી છે! મોહનભાઈમાં ઘણી બારીક વ્યવસ્થાસૂઝ હતી એમ હું માનું છું. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' અને ‘જૈન ગૂર્જર કવિઓ’ જેવા આકરગ્રંથો વ્યવસ્થાસૂઝ વિના રચી જ ન શકાય. એમાં જે વિપુલ સાધનસામગ્રીનો ઉપયોગ થયેલો છે એ ચુસ્ત વ્યવસ્થા ઉભી કર્યા વિના થઈ જ ન શકે. આ ગ્રંથોમાં મૂકાયેલી ભરપૂર વર્ણાનુક્રમિક સૂચિઓ એ વ્યવસ્થાસૂઝનું પરિણામ નથી તો શાનું છે ? ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'માં ફકરાઓને અપાયેલા ક્રમાંક ‘જૈન ગૂર્જર કવિઓ'માં સમયાનુક્રમે સામગ્રીની રજૂઆત, કર્તાઓને તથા કૃતિઓને ક્રમાંક આપવાની પદ્ધતિ, વર્ણાનુક્રમણીમાં કર્તાકૃતિક્રમાંક તથા પૃષ્ઠાંક બન્ને દર્શાવવાની અપનાવાયેલ રીત - આ બધું વ્યવસ્થાની ઝીણી સૂઝ ધરાવતો, વ્યવસ્થા માટે આગ્રહી માણસ જ કરી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy