SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૩] વિનય 33 આર્હત ધર્મ શ્રવણ કરીને વૈરાગ્ય પામેલા દત્તે પોતાની સ્ત્રી અને પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત છતાં પણ ‘આગળ જતાં મારો પુત્ર સંયમનું પાલન કરશે’’ એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભોજન લાવી લાવીને પુત્રનું પોષણ કરતા હતા, કોઈ પણ વખત પુત્રને ભિક્ષા લેવા મોકલતા નહીં. તે જોઈને બીજા સાધુઓ ‘આ બાળ સાધુ સમર્થ છતાં પણ તેની પાસે શા માટે ભિક્ષા મંગાવતા નથી?’' ઇત્યાદિક મનમાં વિચાર કરતા, પણ તેને કાંઈ પણ કહી શકતા નહીં. કેમકે પુત્રનું પિતા પાલન કરે તેમાં કોણ નિષેધ કરી શકે? પછી કેટલેક કાળે દત્ત મુનિ ઉનાળાના સમયમાં સમાધિથી મરણ પામ્યા. તેના વિયોગથી અર્હત્રક સાધુને મહા દુઃખ પ્રાપ્ત થયું. પિતાના વિરહથી દુ:ખી થયેલા તેને બીજા સાધુઓએ બે ત્રણ દિવસ સુઘી તો આહાર લાવી આપ્યો. પછી તેઓએ અર્હન્નકને કહ્યું કે,‘હવે તું પોતે જ ભિક્ષા માટે અટન કર, તારા પિતાની જેમ હવે હમેશાં કોઈ તને આહાર લાવીને આપશે નહીં.” આ પ્રમાણે કર્ણમાં સીસું રેડ્યા જેવું વચન સાંભળીને અર્હન્નક ખેદયુક્ત થઈ બીજા મુનિઓની સાથે ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કોઈ પણ વખત તેણે જરા પણ શ્રમ લીધો નહોતો, અને શરીર અત્યંત સુકુમાર હતું, તેથી ગ્રીષ્મ ઋતુના સૂર્યનાં ઉગ્ર કિરણોથી તપેલી ધૂળમાં ચાલવાથી તેના પગ દાઝવા લાગ્યા, માથું પણ સૂર્યના કિરણોથી તપી ગયું, અને તૃષા લાગવાથી મુખ પણ સુકાઈ ગયું. તેવી રીતે ચાલતાં તે અહર્શક મુનિ બીજા સાધુઓથી પાછળ રહી ગયા, એટલે વિશ્રામને માટે કોઈ એક ગૃહસ્થના મહેલની છાયામાં ઊભા રહ્યા. ત્યાં ઊભા રહેલા કામદેવ સમાન આકૃતિવાળા તેમને ચંદ્રના જેવા મુખવાળી અને જેનો પતિ પરદેશ ગયેલો હતો એવી તે ઘરની માલિક સ્ત્રીએ દીઠા. તે બાળ મુનિને જોઈને તેણે વિચાર્યું કે, ‘‘અહો! શું આનું અપૂર્વ સૌન્દર્ય છે કે જે જોવા માત્રથી જ મારા મનનું આકર્ષણ કરે છે! માટે આ યુવાનની સાથે વિલાસ કરીને મારું યૌવન સફળ કરું.’' એમ વિચારીને તેણે તે સાધુને બોલાવવા માટે દાસીને મોકલી. દાસીએ તેને બોલાવ્યા, એટલે તે પણ તેના ઘરમાં ગયા. તેમને આવતા જોઈને હર્ષના ભારથી જેના કુચકુંભ પ્રફુલ્લિત થયા છે એવી તે સ્ત્રી તેની સામે આવી, અને હાસ્યથી મિશ્રિત થયેલા દાંતનાં કિરણોથી અધરોષ્ઠને તેજસ્વી કરતી તથા નેત્રને નીચાં રાખીને વાંકી દૃષ્ટિથી કટાક્ષ કરતી તે સ્ત્રીએ તેમને પૂછ્યું કે,“હે પ્રાણના જીવન સમાન! તમે શું માગો છો?’’ ત્યારે અહર્શક મુનિ બોલ્યા કે,‘હે સારા લોચનવાળી કામદેવની પ્રિયા! હું ભિક્ષા માગું છું.'' તે સાંભળીને તેણે વિચાર્યું કે,‘આ સાધુને હું કામદેવને ઉદ્દીપન કરનારાં ઔષધોથી મિશ્રિત, સિગ્ધ, મધુર અને જોવા માત્રથી જ વિકાર ઉત્પન્ન કરે તેવો આહાર આપીને વશ કરું.'' એમ વિચારીને તેણે મનોહર એવા ઘણા મોદક તેમને આપ્યા. તે પણ પર્યટન કરવાથી ગ્લાનિ પામ્યા હતા, તેથી આવા સુંદર મોદક મળવાથી ઘણો હર્ષ પામ્યા. પછી તે સ્ત્રીએ સ્નેહયુક્ત દૃષ્ટિથી જોતાં જોતાં તેને પૂછ્યું કે,‘હે યુવાન! મારા અંગમાં વ્યાપેલા કામવિકારના તાપસમૂહનું નિવારણ કરવામાં સમર્થ, તથા કદલીના સ્તંભ જેવી કોમળ જંઘાવાળી અને માખણના જેવા સુકુમાર અંગવાળી કમનીય કામિનીઓએ સ્પૃહા કરવા યોગ્ય એવું આ યૌવન પામીને શા માટે પરીષહરૂપી કુઠારવડે વૃક્ષની જેમ આ પ્રફુલ્લ યૌવનરૂપી વાડીનું ઉન્મૂલન કરો છો? વ્રત ગ્રહણ કરવાનો આ સમય નથી. કેટલાક સ્ત્રીસુખની લાલસાવાળા જીવો ક્ષુધા તૃષાદિક કષ્ટ સહન કરે છે, આતુર રહ્યા કરે છે; તોપણ તેઓને સ્વપ્ને પણ તેવા સુખની પ્રાપ્તિ દુર્લભ જણાય છે. તમને તો તેવું સુખ અત્યારે [ભાગ ૫–૩) Jain Education I For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy