SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૫ હોય તો તેઓ સુનય છે, અન્યથા દુર્રય. અહીંથી નયવાદની સાથે અન્ય દાર્શનિક મતોના સંયોજનની પ્રક્રિયા શરૂ થઈ છે. સ્વયં સિદ્ધસેને આ પ્રક્રિયાનો પ્રારંભ આ શબ્દોમાં કર્યો છે — જેટલા વચનમાર્ગો છે તેટલા જ નયવાદો છે, અને જેટલા નયવાદો છે તેટલા જ પરસમયો અર્થાત્ પરમતો છે. કપિલદર્શન દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય છે અને શુદ્ધોદનપુત્રનો વાદ પરિશુદ્ધ પર્યાયાર્થિક નયનું વક્તવ્ય છે. અને ઉલૂક (વૈશેષિક) મતમાં બન્ને નયોનો સ્વીકાર હોવા છતાં બન્ને એકબીજાથી એકાન્ત ભિન્ન છે, તદ્દન નિરપેક્ષ છે. આમ છતાં આ બધાં દર્શનો ‘મિથ્યાત્વ’ છે કેમ કે તેઓ પોતપોતાના વિષયને જ એકાન્તપણે સાચો માને છે અને પરસ્પર નિરપેક્ષ છે. સારાંશ એ કે નયો યા મતો જો અન્યમતસાપેક્ષ હોય તો જ ‘સમ્યગ્દર્શન' સંજ્ઞાને યોગ્ય છે, અન્યથા નથી. (૩.૪૭-૪૯). સિદ્ધસેનના આ સૂચનના આધારે તત્કાલીન બધા મતોનો સંગ્રહ વિક્રમની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધમાં આચાર્ય મલ્લવાદીએ પોતાના નયચક્રમાં કર્યો છે. મલ્લવાદીની આ કૃતિ તેમના કાળની અદ્વિતીય કૃતિ છે. વર્તમાનમાં અનુપલબ્ધ ગ્રન્થો અને મતોનો પરિચય કેવળ આ નયચક્ર ગ્રન્થમાંથી જ મળે છે. આચાર્ય મલ્લવાદીએ પોતાના સમય સુધીમાં વિકસિત બધા મતોનો સંગ્રહ કર્યો છે, એક પણ પ્રધાન મતને છોડ્યો નથી. તેથી પોતપોતાના મતને રજૂ કરનારા તે તે દર્શનોના ગ્રન્થોની અપેક્ષાએ સર્વસંગ્રાહક આ ગ્રન્થ ષગ્દર્શનસમુચ્ચય જેવા ગ્રન્થોની પૂર્વભૂમિકારૂપ બની જાય છે. નયચક્રની રચનાની જે વિશેષતા છે તે તેના નામથી જ સૂચિત થઈ જાય છે. નયોનું અર્થાત્ તત્કાલીન અનેક વાદોનું આ ચક્ર છે. ચક્રની કલ્પનાની પાછળ આચાર્યનો આશય એ દર્શાવવાનો રહ્યો છે કે કોઈપણ મત પોતે પોતામાં પૂર્ણ નથી, જેમ તે મતની સ્થાપના તર્કોથી થઈ શકે છે તેમ તેનું ઉત્થાપન (નિરસન) પણ વિરુદ્ધ મતની દલીલોથી યા તર્કોથી થઈ શકે છે. સ્થાપના-ઉત્થાપનાનું આ ચક્ર ચાલ્યા કરે છે. તેથી જ અનેકાન્તવાદમાં આ બધા મતો જ્યારે પોતાનું ઉચિત સ્થાન પ્રાપ્ત કરી લે છે ત્યારે જ તેમનું ઔચિત્ય છે, અન્યથા નથી. આ આશયને સિદ્ધ કરવા માટે આચાર્યે ક્રમશઃ એક એક મત લઈને તેની સ્થાપના કરી છે અને અન્ય મત વડે તેનું નિરાકરણ કરી તે અન્ય મતની સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપના થઈ ગયા પછી ત્રીજો મત આવી તેની પણ ઉત્થાપના કરી પોતાની સ્થાપના કરે છે – આમ અન્તિમ મત જ્યારે પોતાની સ્થાપના કરે છે ત્યારે પ્રથમ મત તેનું નિરાકરણ કરી પોતાની સ્થાપના કરે છે ... આ રીતે ચક્રનો એક આંટો (પરિવર્ત) પૂરો થયો પણ ચક્રનું ચાલવાનું અહીં સમાપ્ત થતું નથી, પૂર્વોક્ત પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. પોતાના સમયના જે મતોનો સંગ્રહ નયચક્રમાં કરવામાં આવ્યો છે તે આ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy