________________
સ્વામી સમતભદ્રનો સમય
૩૯
(ब) कांच्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्बुशे पाण्डुपिण्डः
पुण्ड्रोड्रे शाक्यभिक्षुः दशपुरनगरे मिष्टभोजी परित्राट् । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुरंगस्तपस्वी
राजन् यस्याऽस्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥
આ ઉક્તિનો સાર એ છે કે તેઓ પ્રથમ કાંચીનગરીમાં “નગ્નાટક” એટલે કે આજીવિક સંપ્રદાયના સાધુ હતા, પછી પુણ્ય (બંગાળ) અને ઓડ(ઓરિસ્સા)માં શાક્યભિક્ષુ (બૌદ્ધ સાધુ) બન્યા હતા. તે પછી દશપુરનગર(મંદસોર)માં પરિવ્રાજક (મિષ્ટાન્નભક્ષી) સંપ્રદાયના મુનિ, અને ત્યાર બાદ વારાણસીમાં ભસ્માર્ચિત શૈવ સંન્યાસી થયા : ને અંતમાં જૈન-નિર્ઝન્થવાદી મુનિ થયેલા. (સમંતભદ્ર આમ નિર્ગસ્થ થતાં પૂર્વે ચારેક સંપ્રદાયો બદલેલા એવો સ્પષ્ટ ધ્વનિ છે. આ વાત સાચી હોય તો એમને જુદાં જુદાં દર્શનોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની, એમની વિચારધારાઓ અને નિરનિરાળી દાર્શનિક વાદપદ્ધતિઓનાં યુક્તિતંત્રનું રહસ્ય પ્રાપ્ત કરવાની તથા ભારત-પરિભ્રમણની તક મળેલી હશે.) હવે એની વિગતો પર વિશેષ વિચાર કરીએ. દક્ષિણ ભારતમાં, વિશેષ કરીને તમિળ્યદેશમાં, આજીવિક સંપ્રદાય લાંબા સમય સુધી ઘસાતાં ઘસાતાં ટકી રહેલો. આથી એ મુદ્દો સમંતભદ્રના સમય-નિર્ણયમાં ઉપયુક્ત નથી. પરિવ્રાજક સંપ્રદાયના સિલસિલાબંધ ઇતિહાસ વિશે બહુ ઓછું જાણમાં છે અને માહેશ્વરી સાધુઓના ક્રમબદ્ધ ઇતિહાસના સ્રોતો જ્ઞાત નથી. જ્યારે પુખ્ત એટલે કે બંગાળમાં બૌદ્ધધર્મ હર્ષવર્ધનના સમકાલિક શશાંક (ઈસ્વીસન્ના ૭મા શતકનો પૂર્વાર્ધ) પહેલાં હતો; પણ “ઓઝ”એટલે કે વંગ, મગધ, અને ઉત્તર કોસલની સીમાઓને સ્પર્શતા કલિંગદેશ(ઉડીસ્સા)ના ઓતરાદા ભાગમાં તેનો પ્રભાવ કંઈક અંશે છઠ્ઠા શતકમાં અને પછી વિશેષે આઠમા શતકના ઉત્તરાર્ધમાં દેખા દે છે. બૌદ્ધ ભિક્ષુ રૂપે સમંતભદ્ર કલિંગદેશમાં વહેલામાં વહેલું છઠ્ઠા શતકના ઉત્તરાર્ધમાં અને ધર્માધ શશાંકના સાતમી શતાબ્દીના આરંભિક ચરણમાં થયેલ કલિંગ-વિજય પૂર્વે પરિભ્રમણ કર્યું હોય. એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી એ છે કે “જૈન” શબ્દ ગુપ્તયુગ (ચોથી-પાંચમી સદી) પહેલાં (નિર્ગસ્થ) સાહિત્યમાં (કે અન્યત્ર) ક્યાંય જોવા મળતો નથી. સમંતભદ્ર ઈસ્વીસની બીજી-ત્રીજી શતાબ્દીમાં થયા હોવાનો આ વસ્તુ અપવાદ કરે છે.
આ પછીના એક પદ્યમાં કરહાટકના રાજાની સભામાં સમંતભદ્ર કહે છે કે અગાઉ એમણે પાટલિપુત્રમાં (વાદ-ઘોષની) રણભેરી વગાડેલી; તે પછી માલવ, સિંધુદેશ, ટક્ક (પંજાબ અંતર્ગત), કાંચીપુર (કાંજીવરમુ, તામિલનાડ), વિદિશા (ભિલસા, પ્રાચીન દશાર્ણ દેશ, મધ્યપ્રદેશ), અને હવે વાદીરૂપેણ કરહાટક (મહારાષ્ટ્ર-સ્થિત કરાડમાં) ઉપસ્થિત થયા છે. યથા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org