________________
જમનાદાસ મોજમાં આવી ગયા. પત્નીને કહે કે, આવતી કાલે સોનીને બોલાવ્યા છે. તમારે જેટલાં ઘરેણાં બનાવરાવવા હોય તેના માપ આપી દેજો.
બાજુમાં બેઠેલા મિત્રને પણ થયું કે આપણે શા માટે પાછળ રહેવું? તેમણે તેમના પત્નીને બોલાવ્યા અને કહ્યું કે કાલે સોની આવે જ છે, તમે પણ માપ આપી દેજો. ઘરેણાં એક સાથે થઈ જાય.
જમનાદાસ મોનજીનો ઉત્સાહ જોઈ શ્રાવિકા વિચારમાં પડી ગયા. સામેથી બેવડો ઉત્સાહ છલકવો જોઈએ તેના બદલે થોડીવાર માટે ઘરમાં મૌન છવાઈ ગયું.
ક્યારેક વાતના બે શબ્દો વચ્ચે મીન હોય છે તો ક્યારેક બે વાતની વચાળે મૌન હોય છે. અલબત્ત, આ મૌનમાં મીઠાશ હતી. અકળામણ ન હતી. મીઠી મુંઝવણ જેવું લાગ્યું એટલે તેનો અંત લાવવા માટેની શરુઆત જમનાદાસભાઈએ જ કરી : શું વિચારણા છે! બોલો તો રસ્તો થાય.
શ્રાવિકા બોલ્યા: તમે તો મને હંમેશા હથેળીમાં રાખી છે, તેથી હું સમજુ છું કે તમે મને સોનેથી મઢવા તૈયાર છો પણ મારું મન માનવું જોઈએ ને!
આ વાક્યનો મર્મ પામતા જમનાદાસને વાર લાગી. વળી આ શબ્દોએ વાતાવરણને ગંભીર સ્વરૂપ આપ્યું હોય તેવું લાગ્યું. પાડોશીને તો આ બધું બીજી ભાષામાં બોલાતું હોય તેવું લાગ્યું!
ભારેખમ વાતાવરણ અને વળી તેમાં મૌન! હવે જમનાદાસભાઈને મૌનમાં છીંડુ પાડવાનું કાર્ય કરવું પડ્યું. કહ્યું: તમે બોલોને! તમારું મન વધે તે પહેલું કરીએ.
શ્રાવિકાને થયું તેમનું મન તૈયાર તો લાગે છે. છતાં રણકાર સાંભળવાની ઈચ્છા થઈ આવી. કહ્યું: હું હમણાં કહું પણ, હા, ના, તો નહીં થાય ને! જમનાદાસ કહેઃ તમે કહો તે સોળ આની. કારણ પૂછવામાં પણ નહીં આવે! હવે તો બોલો!
શ્રાવિકાએ મનમાં હતા તે બધા ભાવ ચહેરા પર લાવી કહ્યુંઃ જુઓ ! તમારે ઘરેણાં ઘડાવવા હોય તો પહેલાં મારા પ્રભુજીના જ ઘડાવો. પછી બીજી બધી વાત !
૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org