SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન જાહેર જનતા માટે દાખલ ફી સાથે ખુલ્લી મૂકવામાં આવી. ત્યારે હોટેલ તરફથી કાચા રસ્તા પર ઘોડાગાડીઓમાં પ્રવાસીઓને ફેરવવામાં આવતા. આ સ્થળની પર્યટનકેન્દ્ર તરીકે લોકપ્રિયતા વધતાં પાકા રસ્તાઓ થયા અને બીજી ઘણી સુવિધાઓ થઈ. કંપની માટે કમાણીનું એક મોટું સાધન થયું. જુદાં જુદાં સ્થળોમાં ફરીને અમારા પગ હવે થાક્યા હતા ને પેટની ઉઘરાણી ચાલુ થઈ હતી. સાંજ પડવા આવી હતી. એક રેતાળ મન પથરાળ કિનારે જ્યાં પ્રવાસીઓને માટે પોતાના ઘરનું લાવેલું ખાવા માટે ખુલ્લામાં ડબલ-બાંકડા રાખવામાં આવ્યા હતા ત્યાં અમે પહોંચ્યા. પહેલાં છીછરા પાણીમાં અમે પગ પખાળી આવ્યા. પછી જલધિજલની તરંગલીલા અવલોકતાં અમે બાંકડા પર ગોઠવાયા. આકાશ સ્વચ્છ હતું. જોકે પક્ષીવિહોણું હોવાથી તે અડવું લાગતું હતું, પણ મોટરકારમાંથી અમારા ખાવાના ડબ્બા ટેબલ પર ગોઠવાયા કે થોડી ક્ષણોમાં જ કોણ જાણે ક્યાંથી પક્ષીઓ આવવા લાગ્યાં. નાની કાબર જેવાં કાળાં પક્ષીઓ પણ હતાં અને શ્વેત ગલ પક્ષીઓ પણ હતાં. દરિયાકિનારાની ખિસકોલીઓ આવી અને એથી સહેજ મોટા કદ અને આકારનાં રૂંક (SKUNK) પણ આવ્યાં. અમારા પૌત્ર-પૌત્રી અર્ચિત-અચિરાને તો ખાવા કરતાં ખવરાવવામાં જ વધુ આનંદ પડ્યો. બિસ્કિટ, પાઉં ગાંઠિયા વગેરેનો ટુકડો તેઓ ઊંચે ઉછાળે અને જમીન પર પડતાં પહેલાં કોઈક પક્ષીએ એને ચાંચમાં ઝડપી લીધો હોય. અમારો ભોજનનો કાર્યક્રમ રમતોત્સવ બની ગયો. જેવા ડબ્બાઓ ખાલી થયા અને ગાડીમાં પાછા મૂકવામાં આવ્યા એટલી વારમાં તો પક્ષીઓ અને નાનાં પ્રાણીઓ ક્યાં જતાં રહ્યાં તેની ખબર પણ ન પડી. અમને થયું કે “વાહ! આ લોકોને પણ પોતાના સમયની કેટલી બધી કિંમત હોય છે !' સાગરતટ છોડી અમે રસ્તા પર આવ્યા. થોડે દૂર એક બોર્ડ હતું. થયું કે શી સૂચના લખી છે તે જોઈએ તો ખરા ! પાસે જઈને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે “મહેરબાની કરીને અહીંનાં પશુપક્ષીઓને તમારો ખોરાક ખવડાવશો નહિ. એ ખાવાથી તેઓને એની આદત પડી જાય છે, તેમની તબિયત બગડે છે અને માંદા પડી જલદી મૃત્યુ પામે છે.” અમને દ્વિધા થઈ. આપણે ખવડાવ્યું તે સારું કર્યું કે ખોટું ? પ્રાચીન કાળથી માનવજાત પશુપક્ષીઓને પોતાના માટેનો ખોરાક ખવડાવતી આવી છે. એમાં પ્રેમ અને જીવદયાની ભાવના રહેલી છે. પશુપક્ષીઓનો આહાર કરનારા માંસાહારી પર્યાવરણવાદીઓ પણ હવ મનુષ્યનો ખોરાક કેટલાંક પશુપક્ષીઓને ન ખવડાવવાની હિમાયત કરે છે. એમાં પણ જીવદયાની ભાવના છે. માંસાહારી પ્રજામાં જીવદયાની આટલી પણ જાગૃતિ આવી છે એ એક શુભ નિશાની છે. અલબત્ત, પશુપક્ષીઓ તો મનુષ્ય માટેનો ખોરાક લેતાં જ રહેવાનાં. કેટલાક વ્યસની માણસોને જો પોતાના આરોગ્યની ચિંતા નથી હોતી, તો પશુપક્ષીઓને તો કયાંથી જ હોય ? પણ આપણે નવેસરથી વિચારવું રહ્યું. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy