SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, કેટલાક કવિઓ યશ મેળવવા કાવ્ય લખતા હોય છે, કેટલાક પૈસા મેળવવા ખાતર, અને કેટલાક કવિઓ એ બંને મેળવવા ખાતર. કેટલાક કવિઓ કોઈ એક ઉદ્દેશથી કાવ્ય લખે છે અને બીજો અનાયાસે સિદ્ધ થઈ જાય છે. જોકે એકંદરે અર્થપ્રાપ્તિ કરતાં યશપ્રાપ્તિનું પ્રયોજન જ કવિની નજર સમક્ષ વધારે રહેતું જોવા મળે છે. યશનું પ્રયોજન રાખવામાં કવિ નથી શોધતો સ્થૂલ વ્યાવહારિક સ્વાર્થ કે નથી પડતો સ્થૂલ શારીરિક સુખસગવડ પાછળ, યશને ખાતર આર્થિક દૃષ્ટિએ ખુવાર થઈ જવા પણ કેટલાક કવિઓ તૈયાર હોય છે, કારણ કે અર્થપ્રાપ્તિ તો આ જીવનમાં જેટલી થઈ શકે તેટલી જ થતી હોય છે, જ્યારે યશ તો પોતાના અવસાન પછી પણ મળશે એવી એને આશા હોય છે. યપ્રાપ્તિ અને અર્થપ્રાપ્તિ માત્ર કવિને જ થાય છે, જ્યારે વ્યવહારનું જ્ઞાન વાચકને મળે છે. મમ્મટ કહે છે તેમ કવિ કેટલીક વાર પોતાના ભાવકોને વ્યવહારનું જ્ઞાન આપવાના ઉદ્દેશથી પણ કાવ્ય લખે છે. એટલે આ પ્રયોજન કવિ કરતાં ભાવકને વિશેષ લાગુ પડે છે, કારણ કે પોતાના કાવ્યમાં કવિ જે વ્યવહારજ્ઞાન રજૂ કરે છે તે જ્ઞાન કવિની પાસે તો પહેલેથી હોય છે. કાવ્ય દ્વારા કવિને નવું જ્ઞાન મળતું નથી. એટલું ખરું કે એવું જ્ઞાન આપતાં પહેલાં કવિ પોતે એને તાજું કરી લે છે. મમ્મટે આ પ્રયોજન મર્યાદિત અર્થમાં ગણાવ્યું છે. વ્યવહારજ્ઞાન એટલે રાજસભાના આચારવિવેકનું જ્ઞાન એટલો જ અર્થ એને અભિપ્રેત છે. સામાન્ય જનોને રાજદરબારના વ્યવહારનું જ્ઞાન હોતું નથી એટલે રાજકુલથી પરિચિત એવા કવિઓનાં કાવ્યોમાંથી તે જ્ઞાન મેળવી શકાય છે એમ એ કહે છે. પરંતુ વ્યવહારજ્ઞાનનો આટલો જ મર્યાદિત અર્થ કરવાનો નથી. જીવનના એકેએક પાસાને કાવ્યમાં સ્થાન છે. કાવ્ય માનવીના સમગ્ર વ્યવહારનું પ્રતિબિંબ છે. મનુષ્યસ્વભાવ કેવો હોય છે, માનવીના મનમાં કેવા કેવા ગૂઢ વ્યાપારો ચાલી રહ્યા હોય છે, એ બધાની મનુષ્યના જીવન ઉપર કેવી કેવી અસર થાય છે અને અંતે એનું કેવું પરિણામ આવે છે એ બધું જ આપણે કાવ્ય દ્વારા જોઈ શકીએ છીએ. કાલિદાસ નાટકને 2 TUળ્યોદ્ધમત્ર નોવેરિતમ્ તરીકે ઓળખાવે છે તે પણ એ જ અર્થમાં. દુનિયાના તમામ મહાન ગ્રંથો આવા સૂક્ષ્મ વ્યવહારજ્ઞાને સભર હોય છે. વ્યવહારના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સિદ્ધાંતો સરળમાં સરળ ભાષામાં સમજાવતા ગ્રંથ તરીકે એક મહાભારતનું જ ઉદાહરણ લઈએ તો તેમાં ધર્મરાજાની સત્યનિષ્ઠ, દ્રૌપદીનો માની સ્વભાવ, ગાંધારીની પતિભક્તિ, કર્ણની ઉદારતા, દુર્યોધનની દુષ્ટતા, શકુનિનું કપટીપણું, ભીષ્મની પ્રતિજ્ઞા, ધૃતરાષ્ટ્રનો પુત્રપક્ષપાત, ભીમનો ઉતાવળો ઉગ્ર સ્વભાવ વગેરે ભિન્ન ભિન્ન પ્રકારનાં મનુષ્યસ્વભાવનાં ચિત્રો જોવા મળે છે. ૩૧૨ સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy