SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગતિના સીમાસ્તંભો અને અવરોધો ૨૭૭ દ્રષ્ટાભાવને કેન્દ્રમાં રાખતા, સાધનામાર્ગે આગળ વધતાં અવચેતન ચિત્તમાં પડેલા સંસ્કારો સાધના દરમ્યાન ઉપર આવે છે ત્યારે સાધકને એવો અનુભવ થવો સંભવે કે જે પ્રકારનાં વિચાર કે ભાવ-વલણને એણે ચિત્તમાં કદી સ્થાન આપ્યું ન હોય તેવાં કામ-ક્રોધાદિનાં નિમ્ન કોટિનાં વિચાર અને ભાવ-વલણ, બાહ્ય કશા નિમિત્ત વિના, એના ચિત્તમાં ઊભરાવા માંડે છે. આવા અવસરે સાધકે પોતાનું ‘પતન થઈ રહ્યું છે' એમ માની ગ્લાનિ, ખેદ કે અપરાધભાવને ચિત્તમાં સ્થાન ન આપવું, ન મુંઝાઈ જઈને સાધના પડતી મૂકવી કે ન એ ભાવ-વલણ મુજબ વર્તી લેવું; અર્થાત્ એ ભાવવલણથી ન તો દૂર ભાગવું કે ન જીવનમાં એને છૂટો દોર આપવો. એ જ રીતે, સત્તાગત કર્મ/સંસ્કારમાંથી કોઈ વાર અજ્ઞાન/મોહ કે નશાજન્ય કર્મસંસ્કારોની ઉદીરણા થતાં, સાધનામાં બેસતાં જ તંદ્રાથી આંખ ઘેરાવા માંડે કે ઝોકાં આવવાં લાગે ત્યારે પણ ખિન્ન ન થવું કે ન સાધના પડતી મૂકી ઊભા થઈ જવું. અવચેતન ચિત્તમાં અનેક ભવના શુભાશુભ કર્મસંસ્કારો પડેલા હોય છે. સાધના દરમ્યાન એમાંથી ગમે તે ઉપર આવી શકે છે. એના તટસ્થ પ્રેક્ષક રહી જાગૃતિના પ્રકાશમાં એના ઉદ્ગમ-સ્રોતને મૂળને છતું થવા દેવું. એનું મૂળ જાગૃતિના તેજમાં ખુલ્લું થઈ જતાં, પછી એ સંસ્કારની પકડ ચિત્ત પર રહેતી નથી. એ સંસ્કાર ક્રમશ: ક્ષીણ થતો જાય છે અને એનો અનુબંધ ન રહેવાથી સાધક તેમાંથી મુક્ત થઈ જાય છે. દ્રષ્ટાભાવને કેન્દ્રમાં રાખતી સાધના-પ્રક્રિયાઓ-જેમાં ચિત્તમાં ઊઠતા વિકલ્પો, વિચારો, વૃત્તિઓ પ્રત્યે જાગૃતિ અપેક્ષિત છે–સાધકને પ્રારંભથી જ એ અનુરોધ કરે છે કે સાધના દરમ્યાન જે કંઈ શીત કે ઉષ્ણ પરીષહો આવે, ઉપસર્ગો થાય, સુખદ કે ભયોત્પાદક અનુભૂતિઓ થાય તેને મહત્ત્વ આપ્યા વિના, નિર્લેપ રહી, આગળ વધવું. સાધનાના આ મૂળભૂત સિદ્ધાંતને ઝેન માર્ગના આચાર્ય હુઆંગ પો સંક્ષેપમાં આ રીતે રજૂ કરે છે : “સાધકને એવો આભાસ થાય કે દિવ્ય વિભૂતિથી પરિવરેલા બધા જ બુદ્ધોનું વૃંદ તેનો સત્કાર કરવા સામે આવી રહ્યું છે ત્યારે, ઊઠીને તેમની સામે જવાનો વિચાર સુધ્ધાં તેને ન આવે; તેમ પ્રેતાદિની ભયાનક ભૂતાવળ એને ઘેરી વળી છે એવું દૃશ્ય તે જુએ ત્યારે, એના રુંવાડામાંયે ભયની લહેર ન ઊઠે; વિકલ્પાત્મક સૃષ્ટિ પ્રત્યે ઉદાસીન રહી, પરમ તત્ત્વ સાથે તાદાત્મ્ય અનુભવતો તે સ્વમાં જ લીન રહે ત્યારે એણે સમજવું કે એનું ધ્યેય હાંસલ થયું છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy