SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પાત્રતત્ત્વ'ની જિજ્ઞાસાથી બધા દાર્શનિકોને પૂછે છે, અને બધા પોતાની સ્તુતિ અને બીજાઓની નિન્દા કરે છે. આચાર્ય હેમચન્દ્ર પુરાણોમાંથી કથા કહીને, સાંઢ બનેલો પતિ ખરી ઓષધિ ખાવાથી જે રીતે પાછો મનુષ્ય બની શક્યો તેવી રીતે ભક્તિથી સર્વદર્શનને આરાધવાથી સ્વરૂપ ન જાણવા છતાં પણ માનવ મુક્તિ મેળવે છે, એવો અભિપ્રાય આપે છે.” આ સર્વદર્શનમાન્યતા'ની દૃષ્ટિ સામ્પ્રદાયિક ચાતુરીની હતી જેમ કે ડૉ. બ્યુલ્ડર માને છે, અથવા સારગ્રાહી વિવેકબુદ્ધિમાંથી ઉદ્દભવી હતી એનો નિર્ણય કરવા માટેનું કોઈબાહ્ય સાધન નથી. પરંતુ અનેકાન્તવાદના રહસ્યજ્ઞ હેમચન્દ્રમાં એવી વિવેકબુદ્ધિની સંભાવના છે કારણ કે હેમચન્દ્ર અને અન્ય જૈન તાર્કિક અનેકાન્તને “સર્વદર્શનસંગ્રહ'' તરીકે પણ ઘટાવે છે. તે ઉપરાંત તે યુગમાં બીજા સમ્પ્રદાયોમાં પણ આવી વિશાલદષ્ટિવાળા વિચારકોનાં દૃષ્ટાન્તો મળે છે. પ્રથમ ભીમદેવના સમયમાં શૈવાચાર્ય જ્ઞાનભિક્ષુ અને સુવિહિત જૈન સાધુઓને પાટણમાં સ્થાન અપાવનાર પુરોહિત સોમેશ્વરનાં દૃષ્ટાન્ત “પ્રભાવકચરિત'માં વર્ણવાયેલાં છે. અર્થાતુ પ્રત્યેક સમ્પ્રદાયમાં ઓછાવત્તા ઉદારમતિ આચાર્યોના હોવાની સંભાવના છે. એવું માનવા માટે કારણ છે કે માલવવિજય પછીથી શરૂ કરી જયસિંહના મૃત્યુ સુધી તેમની સાથે હેમચન્દ્રનો સંબંધ અબાધિત રહ્યો; અર્થાત્ વિ.સં. ૧૧૯૧ના અંતથી વિ.સં. ૧૧૯૯ના આરંભ સુધી લગભગ સાત વર્ષ આ સંબંધ અસ્તુલિત રહ્યો. જયસિંહના મૃત્યુના સમયે હેમચન્દ્રની ઉંમર પ૪ વર્ષની હતી. આ સાત વર્ષોમાં હેમચન્દ્રની સાહિત્યસાધનાનાં અનેક ફળ ગુજરાતને મળ્યાં. આચાર્ય હેમચન્દ્રનો કુમારપાલ સાથે પ્રથમ પરિચય કયા વર્ષમાં થયો એ જાણવાનું કોઈ સાધન ઉપલબ્ધ નથી. કુમારપાલપ્રતિબોધ'માંથી એવું જાણવા મળે છે કે મંત્રી વાભટદેવ (બાહડદેવ) દ્વારા, કુમારપાલ રાજા બન્યા પછી તે હેમચન્દ્રની સાથે ગાઢ પરિચયમાં આવ્યા હશે. પરંતુ ડૉ. બ્યુલ્ડરના કથન અનુસાર સામ્રાજય નિમિત્તક યુદ્ધ પૂરું થયા પછી પ્રથમ પરિચય થયો હશે એવું માનવા માટે કોઈ કારણ નથી. તો પણ ધર્મનો વિચાર કરવાનો અવસર તે પ્રૌઢવયના રાજાને તે પછી મળ્યો હશે. ૧. જુઓ સિદ્ધહેમ- “સનદર્શનમૂહાત્મામાશ્રય' ઇત્યાદિ, પૃ. ૨ અને સિદ્ધર્ષિની વિવૃતિ સહિત “ન્યાયાવતાર'પૃ. ૧૨૮. ૨. કાવ્યાનુશાસન પ્રસ્તાવના, પૃ. ૨૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy