SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ છે, નિર્ભય છે. ધૃતિમાનનો અર્થ છે ધૈર્યશાલી. ગમે તેવો સુખ કે દુઃખનો પ્રસંગ ઉપસ્થિત થવા છતાં ભગવાન સદા એકરૂપ રહે છે. એ જ તેમનું ધૈર્ય છે. સ્થિતાત્માનો અર્થ છે સ્થિર આત્માવાળો. માનાપમાનની ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન સ્થિરચિત્ત—નિશ્ચળ રહે છે. નિરામગંધનો અર્થ છે નિર્દોષભોજી. ભગવાનનું ભોજન બધી રીતે નિર્દોષ હોય છે. ગ્રંથાતીતનો અર્થ છે પરિગ્રહરહિત. ભગવાન પોતાની પાસે કોઈપણ પ્રકારનો પરિગ્રહ રાખતા નથી, કોઈપણ પ્રકારની સાધનસામગ્રી પર તેમનો અધિકાર કે મમત્વ હોતું નથી અને તેઓ કોઈપણ વસ્તુની આકાંક્ષા પણ રાખતા નથી. નિર્ભયનો અર્થ છે નિડર. ભગવાન સર્વત્ર અને સર્વદા સર્વથા નિર્ભય રહે છે. પછીની ગાથાઓમાં અન્ય અનેક વિશેષણો અને ઉપમાઓ દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. ભગવાન ભૂતિપ્રજ્ઞ અર્થાત્ મંગળમય પ્રજ્ઞાવાળા છે, અનિકેતચારી અર્થાત્ અનગાર છે, ઓધંત૨ અર્થાત્ સંસારરૂપ પ્રવાહને તરી જનારા છે, અનંતચક્ષુ અર્થાત્ અનંતદર્શી છે, નિરંતર ધર્મરૂપ પ્રકાશ ફેલાવનારા અને અધર્મરૂપ અંધકાર દૂર કરનારા છે, શક્રસમાન દ્યુતિવાળા, મહોદધિસમાન ગંભીર જ્ઞાની, મેરુસમાન અડગ છે. જેવી રીતે વૃક્ષોમાં શાલ્મલીવૃક્ષ, પુષ્પોમાં અરવિંદ કમળ, વનોમાં નંદનવન, શબ્દોમાં મેઘશબ્દ, ગંધોમાં ચંદનગંધ, દાનોમાં અભયદાન, વચનોમાં નિર્દોષ સત્યવચન, તપોમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે તેવી જ રીતે નિર્વાણવાદી તીર્થંકરોમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. યોદ્ધાઓમાં જેમ વિષ્વક્સેન અર્થાત્ કૃષ્ણ અને ક્ષત્રિયોમાં જેમ દંતવક્ત્ર શ્રેષ્ઠ છે તેવી જ રીતે ઋષિઓમાં વર્ધમાન મહાવીર શ્રેષ્ઠ છે. અહીં ચૂર્ણિકાર અને વૃત્તિકા૨ે દંતવક્કદંતવક્ત્રનો જે સામાન્ય અર્થ (ચક્રવર્તી) કર્યો છે તે યોગ્ય જણાતો નથી. આ શબ્દ એક વિશિષ્ટ ક્ષત્રિયના નામનો સૂચક છે. જેના મુખમાં જન્મથી જ દાંત હોય તેનું નામ છે દંતવક્ત્ર. આ નામ વિષયમાં મહાભારતમાં પણ એવી જ પ્રસિદ્ધિ છે. વૃત્તિકારે તો વિષ્વક્સેનનો પણ સામાન્ય અર્થ (ચક્રવર્તી) કર્યો છે, જ્યારે અમરકોશ વગેરેમાં તેનો કૃષ્ણ અર્થ પ્રસિદ્ધ છે. ૧૮૯ વર્ધમાન મહાવીરે જે પરંપરાનું અનુસરણ કર્યું તેમાં શું સુધારો કર્યો? આનો ઉત્તર આપતાં સૂત્રકારે લખ્યું કે તેમણે સ્ત્રીસહવાસ અને રાત્રિભોજનનો નિષેધ કર્યો. ભગવાન મહાવીરની પૂર્વે ચાલી આવનારી ભગવાન પાર્શ્વનાથની પરંપરા ચતુર્યામપ્રધાન હતી. તેમાં મૈથુનવિરમણ વ્રતનો સ્પષ્ટ શબ્દોમાં સમાવેશ કરવાનું કાર્ય ભગવાન મહાવીરે કર્યું. એ જ રીતે તેમણે તેમાં રાત્રિભોજનવિરમણ વ્રતનો પણ અલગ વ્રતરૂપે સમાવેશ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy