SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૫૧ કસરત કરતા; જ્યારે ભારતીય વિદ્વાનો ધાર્મિક ક્રિયાકલાપો, આધ્યાત્મિક તત્ત્વો, સામાજિક નીતિપ્રથાઓ અને ધાર્મિક જીવન વગેરેના મતભેદથી ચર્ચા કરવા પ્રેરાતા. તેનું પરિણામ પણ જુદું જુદું આવેલું બંને દેશના સાહિત્યમાં નજરે પડે છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપનિષદોની કક્ષામાં મૂકી શકાય એવા સાહિત્યના અભાવ ઉપરથી આ ભેદ સહેજે કળી શકાય છે. સમય બદલાતાં વળી બંને દેશના વિદ્વાનોની માનસમૃષ્ટિમાં ફેર પણ પડેલો જણાય છે. ચર્ચાની ભૂમિકામાં સૉક્રેટિસનું પદાર્પણ થતાં જ ગ્રીક વિચારસૃષ્ટિનું વલણ સત્યદર્શન તરફ થાય છે; અને ભારતીય વિદ્વાનોનું માનસ સાંપ્રદાયિક અમિતાથી વિશેષ કલુષિત થતાં જ તેઓમાં શુષ્ક, તર્ક, છળ અને વાગાડંબરવૃત્તિ વધે છે. પ. પ્રશ્નોત્તરપદ્ધતિ અને કથાપદ્ધતિ – પ્રશ્નોત્તર અને કથા (ચર્ચા) એ બે પદ્ધતિના મૂળમાં ઘણી આકર્ષક સમાનતા છતાં પણ તેના બાહ્ય સ્વરૂપમાં ભેદ છે. પ્રશ્નોત્તર પદ્ધતિમાં એક પૂછે છે ને બીજો ઉત્તર આપે છે, એટલે એક શ્રોતાને અને બીજો વક્તાને પદે છે; જયારે ચર્ચાપદ્ધતિમાં વાદી પ્રતિવાદી બંને સમાન પદે છે. પ્રશ્નોત્તરપદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા એ બંને પોતાની વાત દલીલ સિવાય મુદ્દા પૂરતી પણ કહી શકે, જયારે ચર્ચાપદ્ધતિમાં તેમ ન ચાલે; તેમાં તો વાદી-પ્રતિવાદી બંનેને દાખલા-દલીલ આપવા અનિવાર્ય થઈ પડે છે. પ્રશ્નોત્તરપદ્ધતિમાં બે વક્તા શ્રોતા વચ્ચે પક્ષભેદ અને સિદ્ધાંતભેદ હોવાનો કાંઈ નિયમ નથી, જયારે ચર્ચાપદ્ધતિમાં પક્ષભેદ અને સિદ્ધાંતભેદ હોવાનો જ. સારાંશ કે પ્રશ્નોત્તરપદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતાની વાક્યરચના ન્યાય(પંચાવયવોથી યુક્ત હોવાનો નિયમ નથી; જ્યારે ચર્ચાપદ્ધતિમાં વાદી-પ્રતિવાદી બંનેની વાક્યરચના સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે ન્યાયયુક્ત હોય છે જ. બાહ્ય સ્વરૂપમાં આવો ભેદ હોવા છતાં તેના ઉગમમાં તેવો ભેદ નથી. જેમ પ્રશ્નોત્તર એ જ્ઞાનેચ્છા અને જયેચ્છામાંથી જન્મ પામે છે, તેમા ચર્ચા પણ તેમાંથી જ જન્મ પામે છે. જે ૧. જુઓ, વિંડલબાંડની A. His. of Philosophy, પૃ. ૮૭, વિભાગ ૮ અને આગળ. ૨. આ કથનનો પુરાવો બ્રાહ્મણો, ઉપનિષદો, સૂત્રો, જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટક જોતાં સહેજે મળી આવશે. ૩. જુઓ, ફૂટનોટ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy