SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ એકનિષ્ઠ અભ્યાસી છતાં જે લોકવ્યાપી વિચાર અને કાર્યની ક્રાંતિ કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરકબળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસક્ત કર્મયોગમાં રહેલું છે. શાંતરક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એંસી વર્ષની ઉંમરે તિબટ જેવા અતિ ઠંડા અને દુર્ગમ પ્રદેશમાં જઈ એકસો દસ વર્ષની ઉંમર લગી સતત કામ કરતા રહ્યા, એ મહાયાનની ભાવનાનો સબળ પુરાવો છે. જૈન પરંપરામાં એવા પુરુષો પાકવાનો સંભવ જ નથી એમ માનવાને કોઈ કારણ નથી. ઊલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરુષાર્થી વ્યક્તિઓ પેદા થઈ છે; છતાં એ પરંપરાનું મૂળ બંધારણ જ એવું છે કે કોઈ એક સમર્થ વ્યક્તિ કાંઈક ક્રાંતિકારી કામ વિચારે કે પ્રારંભે ત્યાં તો તત્કાળ કે થોડા વખત પછી તેનાં મૂળ જ ઊખડી જવાનાં. આને લીધે જૈન પરંપરામાં જે નવા નવા ફાંટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને ક્રિયાકાંડના આધાર ઉપર જ પડ્યા છે. એક પણ એવો ફાંટો નથી પડ્યો કે જેના પુરસ્કર્તાએ જૈન પરંપરામાં નિવૃત્તિધર્મને પ્રવૃત્તિધર્મનું વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હોય. આને લીધે શક્તિશાળી માણસોની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃત્તિઓ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પરંપરા ગાંધી કે વિનોબાની કોટિનાં માણસોને ભાગ્યે જ જન્માવી કે પોષી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય. આપણે જોઈએ છીએ કે સંતબાલે વિચાર અને વિવેકપૂર્વક પ્રવૃત્તિધર્મ સ્વીકાર્યો છે, પણ નિવૃત્તિનો સાચો અર્થ નહિ સમજનાર જૈન સમાજ તેમને ભાગ્યે જ સાથ આપે છે. આચાર્ય તુલસીગણિ માનવધર્મ લેખે અણુવ્રતના વ્યાપક વિચાર રજૂ કરે છે. તેમાં પણ તેમને પ્રવૃત્તિની કોઈ પણ વિધાયક બાજુ રજૂ કરતાં ખચકાવું પડે છે. જો એકાંગી નિવૃત્તિસંસ્કારનો સાંપ્રદાયિક વળગાડ આડે ન આવતો હોત તો, એ જ તુલસીગણિનાં વિધાનો અને તેમની પ્રવૃત્તિ કોઈ જુદા જ રૂપમાં હોત એમ કલ્પી શકાય. મુનિ સમંતભદ્રજી, જે હમણાં જ દિગંબર મુનિ બન્યા છે અને જેમણે આખી જિંદગી સમજણપૂર્વક કેળવણીનું ઉદાત્ત કાર્ય કર્યું છે, તેઓ જો પોતાના ઉદાત્ત ધ્યેયને વધારે વ્યાપક અને અસાંપ્રદાયિક બનાવવા બાહ્ય દિગંબરત્વમાં કૌપીન પૂરતો ફેરફાર કરે અને અત્યારે છે તેના કરતાં પણ અંતરત્યાગ વધારે કેળવે, તોય તેમને સમાજ મુનિ તરીકે ફેંકી દેવાનો અને તેમની શક્તિનું કે કાર્યનું મૂલ્યાંકન નહિ કરવાનો. આ ધારણા જો સાચી હોય તો એમ કહેવું જોઈએ કે જૈન પરંપરામાં પ્રચલિત નિવૃત્તિધર્મની એકાંગી કલ્પના હવે નભાવવા જેવી નથી અને નભે તો તેને આશરે સર્વાંગીણ વિકાસની શકયતા પણ નથી. Jain Education International – પ્રબુદ્ધજીવન, સપ્ટેંબર ’૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy