SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ બંનેના જીવનમાં કે તેઓ જે સમાજના અંગ છે તે સમાજના જીવનમાં એ બંનેના ધ્યેયભેદને કારણે કશું અંતર પડવાનું નહિ. ઊલટું એમ બને કે પરલોકવાદી અન્યના જીવનને ધક્કો પહોંચાડવા ઉપરાંત પોતાનું જીવન પણ વણસાડી મૂકે, જ્યારે ચાર્વાકપંથી વધારે નહિ તો વર્તમાન – માત્ર પોતાના જીવન – પૂરતું થોડું પણ સુખ સાધી લે. આથી ઊલટું, જો ચાવકપંથી અને પરલોકવાદી બંનેમાં કર્તવ્યની યોગ્ય સમજ, જવાબદારીનું આત્મભાન તેમજ પુરુષાર્થની જાગૃતિ સરખા પ્રમાણમાં હોય તો ચાર્વાક કરતાં પરલોકવાદીનું વિશ્વ વધારે સારું હોવાની અગર પરલોકવાદીના કરતાં ચાર્વાકપંથીનું વિશ્વ ઊતરતા પ્રકારનું હોવાની કોઈ સંભાવના કે ખાતરી નથી. ધ્યેયવાદ ગમે તે હોય છતાં જેનામાં કર્તવ્ય અને જવાબદારીનું ભાન તેમજ પુરુષાર્થની જાગૃતિ વધારે, તે જ બીજા કરતાં પોતાનું અને પોતાના સમાજ કે રાષ્ટ્રનું જીવન વધારે સમૃદ્ધ કે સુખી બનાવવાનો. કર્તવ્ય અને જવાબદારીના ભાનવાળા તેમજ પુરુષાર્થની જાગૃતિવાળા ચાર્વાક જેવા ગણાતા લોકોએ પણ બીજા પક્ષના સમાજ કે રાષ્ટ્રજીવન કરતાં પોતાના સમાજ અને રાષ્ટ્રનું જીવન વધારે સારું ઘડવાનાં પ્રમાણો આપણી સામે છે. તેથી આપણે ધર્મના ધ્યેય તરીકે પરલોકવાદ, કર્મવાદ કે આત્મવાદને બીજા વાદ કરતાં વધારે સારા કે વધારે ચડિયાતા છે એમ કોઈ પણ રીતે સાબિત કરી નથી શકતા. એવી સ્થિતિમાં પરલોકસુધારણાને ધર્મના ધ્યેય તરીકે માનવા-મનાવવાની જે પ્રવૃત્તિ ચાલતી આવી છે તે બરાબર નથી એમ સ્વીકારવું પડશે. ધર્મનું શ્રેય કોને ગણવું? પણ ત્યારે પ્રશ્ન થશે કે ધર્મનું ધ્યેય શું હોવું જોઈએ? કઈ વસ્તુને ધર્મના ધ્યેય તરીકે સિદ્ધાંતમાં, વિચારમાં અને વર્તનમાં સ્થાન આપવાથી ધર્મની સફળતા અને જીવનની વિશેષ પ્રગતિ સાધી શકાય? આનો જવાબ ઉપરના વિવેચનમાંથી જ ફલિત થઈ જાય છે. તે એ કે દરેકને પોતાના વૈયક્તિક અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂર્ત કરી દેખાડવા જેટલા પુરુષાર્થની જાગૃતિ હોવી એ જ ધર્મનું ધ્યેય મનાવું જોઈએ. જો ઉક્ત તત્ત્વોને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારી તેના ઉપર ભાર આપવામાં આવે તો પ્રજાજીવન સમગ્રપણે પલટો ખાય. ધર્મ તાત્ત્વિક હોય કે વ્યાવહારિક, પણ જો ઉક્ત તત્ત્વો જ એના ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે અને પ્રત્યક્ષ ધારણાવાદ કે પરલોક સુધારણાવાદનું સ્થાન ગૌણ કરી દેવામાં આવે તો પછી મનુષ્ય, ગમે તે પક્ષનો હોય છતાં, નવજીવનના ઘડતરમાં કોઈ પણ જાતની વિસંગતિ વિના જ એકસરખો પોતાનો ફાળો આપે. આવું ધ્યેય સ્વીકારવામાં આવે તો જૈન સમાજની ભાવી પેઢી બધી રીતે પોતાની વધારે યોગ્યતા દર્શાવી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy