SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ XVII ગુજરાતી કે હિન્દી જેવી લોકસુગમ ભાષાનો જ આગ્રહ રાખ્યો. કંઈ પણ લખવું હોય ત્યારે પંડિતજી અનેક ગ્રંથો સાંભળી જઈને એમાંથી કેટલીક નોંધો કરાવી લે, અને કેટલુંક યાદ રાખી લે; પછી સ્વસ્થતાપૂર્વક એકધારું લખાવે જાય. એમની સ્મૃતિ, અને જુદાજુદા મુદ્દાઓને શૃંખલાબદ્ધ કરીને રજૂ કરવાની રીત આશ્ચર્ય ઉપજાવે એવી હતી. પંડિતજીનો મુખ્ય વિષય ભારતીય દર્શનશાસ્ત્રો અને તેમાંય જૈન દર્શન હતો. છતાં દરેક દર્શનનાં મૂળ તત્ત્વોનો અભ્યાસ, તે તે દર્શનના એક સાચા અભ્યાસી તરીકે, પંડિતજીએ કર્યો હતો, એટલે તે તે દર્શનની તાત્વિક માન્યતાને પંડિતજી મૂળભૂત રીતે સ્પર્શી શક્યા હતા. અને આને પરિણામે, આપણા બીજા પંડિતોને જ્યાં એકબીજાં દર્શનોની માન્યતાઓ વચ્ચે પરસ્પર વિરોધ દેખાય છે ત્યાં, પંડિતજીને એમાં સુમેળ સ્થાપી શકે એવાં સમન્વયસાધક તત્ત્વો દેખાય છે. આ રીતે સર્વ ભારતીય દર્શનોની વચ્ચે સમન્વયદષ્ટિની સ્થાપના એ પંડિતજીનું આ ક્ષેત્રમાં મૌલિક અર્પણ લેખાવું જોઈએ. અને હવે તો કેવળ ભારતીય દર્શનો જ શા માટે, દુનિયાનાં બીજાં દર્શનોના થોડા પણ અવલોકને પંડિતજીને એમાં પણ સમન્વયસાધક તત્ત્વનું દર્શન કરાવ્યું હતું, એટલે પંડિતજી સાચા અર્થમાં સર્વદર્શનસમન્વયના સમર્થ પંડિત' બની ગયા હતા. જીવનપદ્ધતિ પંડિતજીની જીવનપદ્ધતિમાં સૌથી પહેલી વાત તો એ હતી કે વધારેમાં વધારે સ્વતંત્રતા ભોગવવા મળે – એટલે કે ઓછામાં ઓછી પરાધીનતા વેઠવી પડે અને બીજાની સેવા ઓછામાં ઓછી લેવાનો વખત આવે – એ રીતે એમણે પોતાનું જીવન સાદું અને ઓછામાં જરૂરિયાતવાળું કેળવ્યું હતું. ખાનપાન, વાચન-લેખન કે મેળ-મુલાકાતનો પંડિતજીનો આખા દિવસનો કાર્યક્રમ નિયત જ હોય : દરેક કાર્ય નિયત સમયે કરવાનો તેઓ આગ્રહ રાખતા હતા અને નિરર્થક કાળક્ષેપ તો એમને નાણાંના દુર્લય જેવો અસહ્ય લાગતો હતો. ખોરાકની પરિમિતતા અને ફરવાની નિયમિતતા એ પંડિતજીની તનની તંદુરસ્તી અને મનની તાળીની ચાવી. ખાધા પછી આળસ આવે તો એ ખાધું ન કહેવાય, એમ પંડિતજી કહેતા અને શરીરને જેટલું પોષણ આપે તેથી વધારે એની પાસેથી કામ લે તો જ એમને નિરાંત થાય. ધનસંચયની જેમ શરીરશક્તિનો સંચય પણ માનવીના પતનનું કારણ બનતો હોવાથી તેઓ શરીરને પુષ્ટ બનાવે એવાં દવા કે ખોરાક કદી લેતા ન હતા. અને તબિયત અસ્વસ્થ થાય ત્યારે પણ નછૂટકે જ દવાનો આશ્રય લેતા. સને ૧૯૩૮માં પંડિતજીને મુંબઈમાં એપેન્ડિસાઈટીસનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. પોતાને આવું દર્દ થયું તેને પંડિતજી પોતાની શરીર તરફની બેદરકારીનું ફળ માનતા હતા અને ત્યારથી ખાન-પાનમાં વિશેષ સાવધ થઈ ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy