SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ ૧. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ આપણો સમાજ નિવૃત્તિપ્રધાન ગણાય છે. આપણને ઇતિહાસમાં જે નિવૃત્તિ વારસારૂપે મળી છે તે નિવૃત્તિ અસલમાં ભગવાન મહાવીરની નિવૃત્તિ છે, અને તે વાસ્તવિક પણ છે. પરંતુ એ નિવૃત્તિ જ્યારથી ઉપાસ્ય બની, તેનો ઉપાસકવર્ગ વધતો ગયો, ક્રમે ક્રમે તેનો સમાજ પણ બંધાયો, ત્યારે એ નિવૃત્તિએ જુદું રૂપ ધારણ કર્યું. છેવટની હદના આધ્યાત્મિક ધર્મો વિરલ વ્યક્તિમાં તાત્ત્વિક રૂપે સંભવે છે, અને હોય પણ છે; પરંતુ સમૂહમાં એ ધર્મો જીવંત રહી નથી શકતા, એ માનવ સ્વભાવની સુવિદિત બાજુ છે. તેથી જ્યારે ઉપાસક સમૂહે સામૂહિક દૃષ્ટિએ આત્યંતિક નિવૃત્તિની ઉપાસના શરૂ કરી ત્યારથી જ એ નિવૃત્તિનું વાસ્તવિકપણું ઓસરવા બેઠું. આપણા સમાજમાં નિવૃત્તિના ઉપાસક સાધુ અને શ્રાવક એવા બે વર્ગ પ્રથમથી જ ચાલ્યા આવે છે. જેનામાં માત્ર આત્મરસ જ હોય અને જેને વાસનાની ભૂખની કોઈ પણ જાતની તૃપ્તિ આકર્ષી ન જ શકે એવી વ્યક્તિને દેહની પણ પડી નથી હોતી. તેને મકાન, ખાનપાન કે આચ્છાદનની સગવડ-અગવડો આકર્ષી કે મૂંઝવી નથી શકતી. પણ આ વસ્તુ સમૂહમાં શકય નથી. ખુદ સાધુવર્ગ, કે જે ઘરબાર છોડી માત્ર આત્મલક્ષી બની જીવનયાપન કરવા ઇચ્છા રાખે છે, તેનો ઇતિહાસ તપાસીશું, તોપણ આપણને સ્પષ્ટ દેખાશે કે તે સામૂહિક રૂપે સગવડ-અગવડમાં સમ રહી શકયો નથી. દુષ્કાળ પડતાં જ સાધુવર્ગ બનતા પ્રયત્ને સુભિક્ષવાળા દેશોમાં વિચરતો દેખાય છે. સુભિક્ષ હોય ત્યાં પણ વધારે સગવડવાળાં સ્થાનોમાં જ તે વધારે સ્થિર રહે અને વિચરે છે. વધારે સગવડ પૂરી પાડનાર ગામો અને શહેરોમાં પણ જે કુટુંબો સાધુવર્ગને વધારે સારી સગવડ પૂરી પાડે છે તેમને ત્યાં જ મુખ્યપણે તેમનો જવ૨અવર વધારે દેખાય છે. આ બધું અસ્વાભાવિક નથી, તેથી જ આપણે સગવડ વિનાનાં ગામો, શહેરો અને દેશોમાં સાધુઓનું અસ્તિત્વ ભાગ્યે જ જોઈએ છીએ; તેને પરિણામે જૈન પરંપરાનું અસ્તિત્વ પણ જોખમાયેલું સ્પષ્ટ દેખાય છે. સગવડ સાથે જીવનના ધા૨ણ-પોષણની આટલી બધી એક૨સતા છતાં સાધુવર્ગ મુખ્યપણે ભગવાન મહાવીરની નિવૃત્તિ ઉપર જ ભાર આપતો આવ્યો છે. ભગવાનના અને પોતાના જીવન વચ્ચેના અંતર વિષે જાણે બહુ વિચાર ન જ કરતો હોય તેમ— દેહમાં તે શું? એ તો વિનાશી હોઈ ચારેક નાશ પામવાનો છે. ખેતર, વાડી કે મકાનમાંય શું ? એ બધું પણ આળપંપાળ છે. પૈસા ટકા અને બૈરાંછોકરાં એ પણ માત્ર જાળ યા બંધન છેઃ એવા પ્રકારનો અનધિકાર ઉપદેશ મોટે ભાગે આપ્યા કરે છે. શ્રોતા ગૃહસ્થવર્ગ પણ પોતાનો અધિકાર અને શક્તિ વિચાર્યા સિવાય એ ઉપદેશના રસમાં તણાઈ જાય છે. પરિણામે આપણે સમાજમાં ભગવાનની સાચી નિવૃત્તિ કે અધિકારયોગ્ય પ્રવૃત્તિ કાંઈ જોઈ શકતા નથી. વૈયક્તિક, કૌટુંબિક કે સામાજિક દરેક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy