SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ જિનમાર્ગનું અનુશીલન અવશેષોને વધુ સર્વનાશમાંથી ઉગારી લીધા હતા, અને એ રીતે આપણી સંસ્કૃતિની અવિસ્મરણીય સેવા બજાવી હતી. દેશભરમાં ફેલાયેલી આવી પ્રાચીન ઇમારતોના રક્ષણની સરકારી આજ્ઞાનો ખ્યાલ આપતાં લાખો પાટિયાં જાણે એના ઘડવૈયા વિદેશી હાકેમ લૉર્ડ કર્ઝનની દીર્ઘદૃષ્ટિની પ્રશસ્તિ સંભાવે છે. અંગ્રેજોની આવી કામગીરી પહેલાં પુરાતત્ત્વના અવશેષો અંગે આપણી સ્થિતિ મોટે ભાગે પારસમણિને કાચ માની બેસનાર પેલા અણસમજુ માનવી જેવી જ હતી. કળા, ઇતિહાસ અને સંસ્કૃતિ ત્રણે દષ્ટિએ મહત્ત્વની ગણાય એવી પાષાણ તથા ધાતુની હજારો પ્રાચીન પ્રતિમાઓને, એ ખંડિત થઈ જવાથી, શાસ્ત્રીય વિધિના નામે આપણે આપણા સગે હાથે પાણીમાં પધરાવી દીધી છે કે કોઈ-કોઈ વાર ધરતીમાં ભંડારી દીધી છે, એટલું જ નહીં, પોતાના જ પગ ઉપર કુહાડો મારવા જેવી આ ભૂલ આપણા કેટલાક ધર્મગુરુઓ આજે પણ કરી રહ્યા છે ! પણ હવે ખંડિત પ્રતિમાઓના યોગ્ય વિધિ અંગે બીજી રીતે પણ વિચાર કરવો જ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સેંકડો વર્ષ પહેલાં જમીનમાં ભંડારેલી ખંડિત પ્રતિમાઓ – ધાતુની તેમ જ પાષાણની – જેમજેમ જમીનમાંથી સાંપડતી જાય છે, તેમ-તેમ જૈન ઇતિહાસના કેટલાય અંધારા ખૂણા ઉપર પ્રકાશ પડતો જાય છે, અને એવી કેટલીય ખૂટતી કડીઓ મળી આવવાથી ઈતિહાસ વધુ કડીબદ્ધ થઈ શકે છે. મથુરાના “કંકાલી ટીલામાંથી મળી આવેલી સાદા પથ્થરની મોટી-મોટી જૈન પ્રતિમાઓ ભલે ખંડિત હોય, છતાં એ બે હજાર વર્ષ પહેલાંની વાતોને વાચા આપે છે એ દૃષ્ટિએ એનું ભારેમાં ભારે મહત્ત્વ છે; અને એથી એવી ખંડિત પ્રતિમાઓનું પણ, હમેશાં પૂજાની અખંડ પ્રતિમાઓની જેમ જ જતન કરવું અનિવાર્ય બની જાય છે. થોડાં વર્ષો પહેલાં મહુડીમાંથી અને દોઢેક વર્ષ પહેલાં વડોદરા પાસે આકોટામાંથી મળી આવેલી ધાતુપ્રતિમાઓ પણ પ્રાચીન જૈન ઇતિહાસની દૃષ્ટિએ ભારે મહત્ત્વની અને અમૂલ્ય પુરવાર થઈ છે, અને તેથી એ સરકાર પાસેથી આપણને મળે એવો પ્રયત્ન પણ ચાલુ છે. આમ, જેમજેમ ઇતિહાસ અને ઐતિહાસિક સામગ્રીનું મહત્ત્વ આપણને સમજાતું ગયું છે, તેમ તેમ આપણી દૃષ્ટિમાં ફેર થતો ગયો છે, અને હવે તો જૈનધર્મની પ્રાચીનતાના પુરાવાઓ જે કંઈ મળે તે એકત્રિત કરવાનો અને આપણા પ્રભાવક પુરુષની કે કોઈ વિશિષ્ટ ઘટનાની ઐતિહાસિકતા પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરીને એ પ્રતિમાઓ ઉપર કોતરાયેલા લેખો જેમ પ્રતિષ્ઠા કરનાર અને કરાવનારની પ્રશસ્તિ પૂરી પાડે છે, એમ એ કેટલીક ઐતિહાસિક સામગ્રી પણ રજૂ કરે છે. આ દષ્ટિએ પ્રતિમાલેખો પણ અભ્યાસ અને સંશોધનનો વિષય બની ગયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy