SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન આવું કામ કરવાની આવડત ધરાવતા માણસો પણ આપણે ત્યાં કેટલા ? આ બાબતમાં સ્થિતિ ઠીક-ઠીક અસંતોષકારક છે, અને તેને સુધારવાનો કોઈ વ્યવસ્થિત પ્રયત્ન ક૨વાનો આપણને હજી ખ્યાલ નથી આવતો એ વાત વિશેષ ચિંતાજનક છે. ૩૭૮ રાજસ્થાન અને ગુજરાતમાં હજી પણ કેટલાક ભંડારો અજ્ઞાત હશે; કેટલાકનું તો નામ કે ઠેકાણું પણ આપણે જાણતા નહીં હોઈએ ! જૈનપુરી ગણાતા અમદાવાદ શહેરમાં પણ કોઈ-કોઈ ભંડારો એવા છે કે જેનું નામ સારી રીતે જાણીતું હોવા છતાં એમાંની વિપુલ અને વિવિધ વિષયને લગતી સામગ્રીમાં શું-શું છુપાયું છે એની માહિતી મળવી હજી સુધી બાકી જ છે. જ્યારે આ ‘રાજનગર’ની સ્થિતિ આવી હોય ત્યારે અજાણ્યા-અગોચર પ્રદેશોમાંના ગ્રંથભંડારોને શોધી કાઢવાની ને એમાંની સામગ્રીની માત્ર વિગતો એકત્ર કરવાની આશા પણ ક્યાં રાખવી? એ દીવા જેવું સ્પષ્ટ છે કે આ બધા જ્ઞાનભંડારો એ જૈનસંઘની અમૂલ્ય મૂડી છે, જૈનધર્મ અને સંસ્કૃતિનો એ ગૌરવભર્યો વારસો છે. આ ગ્રંથભંડારોમાં સંગ્રહાયેલી અને સચવાયેલી જ્ઞાનસંપત્તિની વિરલ વિશેષતા એ છે કે એ સામગ્રી કેવળ જૈનવિદ્યાને લગતી નહીં, પણ સમગ્ર ભારતીય વિદ્યાને પણ સ્પર્શે છે; તેથી એની ઉપયોગિતા જૈનજૈનેત૨ તેમ જ દેશ-વિદેશના વિદ્વાનો માટે એકસમાન છે. જ્ઞાનની સામગ્રીનાં સર્જન, સંગ્રહ અને સંરક્ષણમાં જૈનસંઘે, મારા-પરાયાપણાના ભેદને ભૂલીને કેવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિ અપનાવેલી છે એની સાક્ષી આપણા આ જ્ઞાનભંડારો આપતા જ રહે છે, એ જૈનોની જ્ઞાનભક્તિની કીર્તિપતાકા છે. આમ છતાં ભાગ્યયોગે આપણી બેદરકારી તથા ઓછી સમજણને કારણે અસંખ્ય હસ્તપ્રતો નષ્ટ થઈ ગઈ અને હજારો હસ્તપ્રતો વિદેશમાં ચાલી ગઈ. હવે જે બની ગયું એનો અફસોસ કરવાને બદલે, જાગ્યા ત્યારથી સવાર ગણીને આ બાબતમાં જે કંઈ કરવા જેવું છે તે ક૨વા તરફ આપણે દત્તચિત્ત થવું જોઈએ. આ દિશામાં જે કામો કરવાં જરૂરી છે, તે નીચે મુજબ ગણાવી શકાય : (૧) અજ્ઞાત-અગોચર પ્રદેશમાં રહેલા ભંડારોને શોધી કાઢવા. (૨) જે ભંડા૨ો જાણીતા છે એને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવા. (૩) સુરક્ષિત અને વ્યવસ્થિત લેખાતા ભંડારોની પ્રતોની અવારનવાર સંભાળ લેવાતી રહે. (૪) બધા ભંડારોનાં માહિતીપૂર્ણ સૂચિપત્રો તૈયાર કરવાં, ગ્રંથની માહિતી તરત મળે એવાં અકારાદિક્રમવાળાં કાર્ડો બનાવવાં અને બને તો આ સૂચિઓ છપાવવી. (૫) વિદ્વાનો ગ્રંથો-સંબંધી માહિતી સહેલાઈથી મેળવી શકે, ગ્રંથોનો ઉપયોગ સરળતાથી કરી શકે, અને છતાં ગ્રંથો પણ બરાબર સચવાય એમ ગોઠવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy