SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જિનમાર્ગનું અનુશીલન સમાચાર' દૈનિકના જયજિનેન્દ્ર વિભાગના લેખક શ્રી ધર્મપ્રિયાને સાધુ-મુનિરાજોના નવકલ્પ' વિહાર અને સાધ્વીજીઓના પંચકલ્પ' વિહાર તરફ ધ્યાન દોરવાની જરૂર ઊભી થઈ છે. સાથે સાથે એમણે ઉપાશ્રયો કે ભંડારો અમુક જ સમુદાયો માટે નહીં, પણ બધા ય સાધુઓ માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ એ બાબત તરફ પણ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે. આ અંગે તા. ર૯-૪-૧૯૬૩ના મુંબઈ સમાચારમાં શ્રી ધર્મપ્રિય' લખે છે – “શ્રી જિનાગમોમાં સાધુઓને નવકલ્પ અને સાધ્વીઓને પંચકલ્પના વિહારો કરવા માટે ફરમાન છે. સાધુઓ માટે વરસના બાર મહિનામાંથી ચાતુર્માસનો એક કલ્પ અને બાકીના આઠ માસના આઠ કલ્પના અને સાધ્વીઓને માટે ચાતુર્માસ બાદ બે માસનો એક કલ્પ ગણતાં પાંચ કલ્પના વિહારો કરવાની વીતરાગની આજ્ઞા છે. “સ્ત્રી, પુત્ર, સગાં, મિત્રો, લક્ષ્મી આદિ છોડીને આત્માના કલ્યાણને અર્થે નીકળેલા ત્યાગી જનો કોઈ પણ જાતની માયામાં લપટાઈ ન જાય તે માટે શાસ્ત્રોએ આ પ્રકારની જોગવાઈ કરી છે. ચાતુર્માસ સિવાયના સમયમાં સાધુઓ કોઈ પણ જગાએ એક માસથી વધુ રોકાય નહિ, તેમ સાધ્વીઓ બે માસથી વધુ રોકાય નહિ. જો આ પ્રમાણે શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવામાં આવે તો સાધુસંસ્થામાં દોષો પેદા થાય નહિ, તેમ જ શ્રાવકોમાં પણ ખોટો દૃષ્ટિરાગ ઉત્પન્ન થાય નહિ. કહેવાય છે કે “સાધુ તો ચલતા ભલા” અથવા “વહેતાં જળ નિર્મળ'. સંસારની સાથેના સંબંધો તોડીને આત્મકલ્યાણને અર્થે નીકળેલાને મારું-તારું હોય નહિ, કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ પણ હોય નહિ. માત્ર જેનાથી આત્માનું કલ્યાણ થાય એવી જ પ્રવૃત્તિમાં તે મસ્ત હોય. પરંતુ આજે જોઈએ તો કાંઈક જુદું જ ચિત્ર નજરે ચઢે છે. “અમુક ઉપાશ્રય તો અમુક સાધુઓના, અમુક ભંડારો ઉપર તો અમુક સાધુઓના જ હક્ક; ત્યાં બીજા સમુદાય કે ગચ્છના સાધુઓને ઊતરવા માટે જગા મળે નહીં, કે ભંડારનાં પુસ્તકોને ઊધઈ ખાઈ જાય પણ બીજાને અભ્યાસ માટે પણ મળે નહિ! તે સંપ્રદાયના એકના એક જ સાધુઓ વર્ષો સુધી એકના એક ઉપાશ્રયમાં પડી રહે છે. આ વસ્તુ બંધ થવાની જરૂર છે.” સાધુઓ માટે નવકલ્પ અને સાધ્વીઓ માટે પંચકલ્પ વિહારની આજ્ઞાનો હેતુ જ એ છે કે શ્રમણ-જીવન ગંગાનાં વહેતાં નીરની જેમ હંમેશાં મોહમાયા-મુક્ત રહે. આમ છતાં, જેઓ કોઈ અસાધારણ કારણ વગર – પ્રવચનભક્તિના અસાધારણ લાભના પ્રસંગને કે અસાધારણ શારીરિક અસ્વાથ્યને બાદ કરતાં – એક સ્થાને વધુ સમય રહે છે, તેઓ પ્રવચનને અને પોતાની સાધનાને એમ બંનેને સમાન રીતે ગેરલાભ પહોંચાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy