SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પદર્શનપરિચય - ન્યાય દર્શન ૫૮૩ ઈશ્વરરચિત છે, માટે વેદ કદી ખોટા હોઈ શકે નહીં. વેદ ઈશ્વરપ્રણીત હોવાથી તેની વિરુદ્ધ શંકા ઉઠાવી શકાય નહીં. બધી શ્રુતિઓ ઈશ્વરના અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે, આથી ઈશ્વરની સત્તા સાબિત થાય છે. (IV) આચારમીમાંસા (૧) મોક્ષ ન્યાયમત અનુસાર આત્મા શરીર, ઇન્દ્રિય અને મનથી ભિન્ન છે. પરંતુ અજ્ઞાનના કારણે આત્મા શરીર, ઇન્દ્રિય અને મનને પોતાના અંગરૂપ માને છે અને તેની સાથે તાદાભ્ય સાધે છે. એનું નામ જ બંધન છે. બંધનની અવસ્થામાં આત્માએ સાંસારિક દુઃખોને તાબે રહેવું પડે છે અને જન્મ-મરણની ઘટમાળમાં ફરવું પડે છે. જીવનનાં દુઃખોને સહન કરવાં અને તે માટે ફરી ફરી જન્મ ગ્રહણ કરી ચોર્યાસીના ચક્કરનો ભોગ બનવું એ જ બંધન છે અને તેનો અંત તે મોક્ષ છે. ન્યાયમત મુજબ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ તે જ મોક્ષ છે, અર્થાત્ મુક્તિ એટલે દુઃખોનો એવો સમૂળગો નાશ કે ફરી કદી પણ એનો પ્રાદુર્ભાવ જ ન થઈ શકે. ૧ મુક્તિનું બીજું નામ અપવર્ગ છે. દુઃખ, જન્મ, પ્રવૃત્તિ (રાગ, દ્વેષ, મોહ), દોષ (ધર્મ અને અધર્મ) અને મિથ્યાજ્ઞાન, એ બધાનો નાશ (અભાવ) થવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જ્યારે ૨૧ પ્રકારનાં દુઃખો નાશ પામે છે ત્યારે આવી આત્યંતિક દુઃખનિવૃત્તિ થાય છે. શરીર દુ:ખભોગનું આયતન હોવાથી દુ:ખ છે. ઇન્દ્રિયો, વિષયો અને પ્રત્યક્ષ બુદ્ધિઓ દુ:ખનાં સાધન હોવાથી દુઃખ છે. સુખ જો કે સ્વરૂપતઃ દુઃખથી ભિન્ન છે, તેમ છતાં તેનો દુ:ખની સાથે અવશ્ય સંબંધ હોય છે, એટલે અહીં સુખને પણ દુઃખ ગણવામાં આવ્યું છે. મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી રાગ-દ્વેષાદિનો પણ નાશ થાય છે અને પછી પ્રવૃત્તિ થતી નથી, તેથી ફરી જન્મ પણ લેવો પડતો નથી. છેવટે દુઃખનો આત્યંતિક અભાવ (નાશ) થવાથી મુક્તિ મળે છે. - મુક્તાવસ્થામાં આત્મા બુદ્ધિ (જ્ઞાન), મન અને ક્રિયાથી રહિત હોય છે. જીવ પોતે જ મુક્ત અવસ્થામાં પરમાત્મા (બહ્મ) બની જાય છે એવો અદ્વૈત વેદાંત દર્શનનો જે મત છે તે નૈયાયિકોને માન્ય નથી, કારણ કે તેમના મત પ્રમાણે બે અનાદિ ભિન્ન પદાર્થો કદી પણ અભિન્ન બની શકતા નથી. વેદાંતીઓને મન મોક્ષ એટલે ઉચ્ચ ૧- જુઓ : ન્યાયસૂત્ર', અધ્યાય ૧, આલિંક ૧, સૂત્ર ૨૨ તત્યન્તવમોક્ષોSHવ: ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy