SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન માહિતીની ગણના જ્ઞાનમાં કરી નથી. વાચાજ્ઞાનની ગણના તો અજ્ઞાનમાં થાય છે. જ્ઞાનસ્વભાવરૂપી આત્મામાં વાસ કરવો તે જ પરમાર્થદષ્ટિએ જ્ઞાન છે. જેમાં નિજવાસરૂપ ઉત્કટ આત્મવૃત્તિ વર્તે છે એવી જીવન્મુક્તદશા તે જ્ઞાનદશા છે. શાસ્ત્રથી મેળવેલું જ્ઞાન પરોક્ષ છે. મોક્ષપ્રાપ્તિ માટે તો આત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવવું જોઈએ. વ્યવહારમાં પણ ડૉક્ટરે કે વકીલે કેટલાં પુસ્તક વાંચ્યાં છે એ નથી જોવાતું, પરંતુ રોગનું સાચું નિદાન કરનાર તથા યોગ્ય દવા વડે રોગ મટાડી આપનાર ડૉક્ટર કે અચૂકપણે કેસ જીતી આપનાર વકીલ જ માન્ય થાય છે; તેમ આત્માનું કર્ણોપકર્ણથી પ્રાપ્ત થયેલું નહીં પણ પોતીકું, નિર્મળ, સ્પષ્ટ જ્ઞાન જ કર્મ સામે જીત અપાવે છે. આવું જ્ઞાન મેળવવા આત્માનું પ્રત્યક્ષ દર્શન' - સ્વાનુભૂતિ આવશ્યક છે. આત્મતત્ત્વનું આવું અપરોક્ષ જ્ઞાન જ આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તરીકે ગણના પામે છે. સ્વાનુભૂતિ સુધી પહોંચવા માટે પ્રારંભમાં અનુભવીઓના વચનથી નિભાવવું રહ્યું. જેમ ભારતની બહાર કદી પગ ન મૂક્યો હોય તો પણ અમેરિકા જઈ આવેલી વ્યક્તિની વાતો સાંભળતાં કે તેની પ્રવાસનોંધ વાંચતાં અમેરિકાનાં વાહનવ્યવહાર, લોકો, જીવનપદ્ધતિ, રીતરિવાજ, રહેણીકરણી આદિનું જ્ઞાન મેળવી શકાય છે; તેમ શાસ્ત્રો દ્વારા જગતનાં જડ-ચેતન દ્રવ્યો, પરિસ્થિતિઓ અને ભાવો વિષે જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલાં દર્શનનો અને સાધનામાર્ગના તેમના અનુભવોનો લાભ મેળવી શકાય છે. પ્રારંભમાં એ જ્ઞાન સાધકે શાસ્ત્રો દ્વારા મેળવવું રહ્યું કે જેથી જીવાજીવની સાચી ઓળખાણથી પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય. સ્વભાવદશામાં અથવા એની વધુમાં વધુ નજીક રહેવામાં એ જ્ઞાન અવશ્ય સહાયભૂત થાય છે. વીતરાગધ્રુતના સ્વાધ્યાય દ્વારા જીવે પોતાનાં પરિણામોનું અવલોકન કરવું જોઈએ. અવલોકન થયા વિના પોતાનાં પરિણામમાં ઉત્પન્ન થતા વિભાવરસને જીવ પોતે સમજી શકતો નથી. સિદ્ધાંતના કેવળ બૌદ્ધિક શિક્ષણથી અંતરનું પરિવર્તન થઈ શકતું નથી. તત્ત્વનું શ્રવણ-વાંચન કરે, પણ આત્મસ્વભાવની રુચિનો અભાવ હોય તો પરિણમન ક્યાંથી થાય? રુચિ વગર સત્ય ધર્મ થાય નહીં, વૃત્તિ સુધારણા થાય નહીં. આત્મક્રાંતિ માટે તો સાધનાની જ દિશા પકડવી રહી. ધર્મની દિશા તે ઉપચારની દિશા છે. સિદ્ધાંતોને માત્ર મુખપાઠ કરવાને ધાર્મિકતા સમજી લેવામાં આવે છે, પરંતુ તે ધર્મ નથી, આંતરિક પરિવર્તન લાવવું એ ધર્મ છે. જેમ પાઠ્યપુસ્તકની પાછળ આપેલા ગણિતના કોયડાઓના ઉત્તરો મોઢે કરવાથી ગણિતની પરીક્ષામાં કોઈ લાભ થતો નથી, તે માટે તો દાખલાની વિધિ શીખવી પડે; તેમ સિદ્ધાંતોને કેવળ કંઠસ્થ કરવાની કોઈ કિંમત નથી. જે વિધિથી આત્મજ્ઞાન થાય એ વિધિને જાણી, તે પ્રમાણે વર્તી, અંતર્દષ્ટિ કેળવી જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy