SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મહર્ષિ ગૌતમસમ્મત કર્મવાદ ઉપરથી એમ સમજી શકાય છે કે કર્મફળ પુરુષકૃત કર્મને આધીન છે એ વાત તેમને સ્વીકાર્ય છે, પણ કર્મ જ કર્મફળનું એકમાત્ર અને અદ્વિતીય કારણ છે એ વાત તેમને મંજૂર નથી. તેઓ કહે છે કે કર્મફળ કર્મને આધીન છે એ વાત બરાબર છે, પરંતુ કર્મના ફળનો અભ્યદય ફક્ત કર્મને જ આભારી નથી. જો કર્મફળ એકમાત્ર કર્મને જ આધીન હોય તો પછી પ્રત્યેક કર્મનું ફળ દેખાવું જોઈએ, પરંતુ પુરુષકૃત કર્મ ઘણી વાર નિષ્ફળ નીવડતું પણ દેખાય છે. આના ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે કર્મફળના વિષયમાં કર્મ સાથે એક કર્મફળનિયંતા ઈશ્વર પણ છે. નૈયાયિકોની માન્યતા પ્રમાણે જીવનમાં સુખ-દુઃખ એ તેનાં પોતાનાં પરિણામ છે. કર્મફળ અથવા અદષ્ટના કારણે જીવ ભોગાયતન દેહાદિ મેળવી, કર્મ અનુસાર સુખદુઃખાદિ અનુભવે છે. ઈશ્વર કરુણાળુ છે, છતાં જીવને પોતાના કર્મફળના કારણે દુઃખો ભોગવવાં પડે છે. નૈયાયિકો આ સંબંધમાં એવી દલીલ કરે છે કે મહાભૂતાદિમાંથી દેહનું નિર્માણ થાય છે, પણ કેવા પ્રકારના ભોગને ઉપયોગી દેહ કરવો એનો આધાર અદષ્ટ ઉપર રહે છે. મહાભૂત અને અદષ્ટ બને અચેતન છે, તેથી મહાભૂત અને અદૃષ્ટને સહાય કરવા, જીવને તેનાં કર્મોનો બદલો આપવા એક સચેતન સર્જનહારની જરૂર છે. નૈયાયિકોના મત અનુસાર આ સર્જનહાર એ જ ઈશ્વર છે. શિષ્ય કર્મફળદાતા ઈશ્વરનો વિકલ્પ પ્રસ્તુત તો કરે છે, પણ વિશેષ વિચારતાં તેને પોતાને જ આ વિકલ્પ અયથાર્થ લાગે છે. કર્મ પ્રમાણે ફળ પમાડવારૂપ કાર્ય ઈશ્વર ઉપર આરોપતાં જીવનું ભોક્તાપણું સિદ્ધ થાય છે, પરંતુ એમ કરવા જતાં ઈશ્વરનું સ્વરૂપ જ ખંડિત થાય છે એમ સુવિચારવાન શિષ્યને ચિંતન કરતાં જણાય છે અને તેનો એકરાર આ ગાથાના ઉત્તરાર્ધમાં જોવા મળે છે. ઈશ્વરને કર્મફળદાતા માનવાથી કઈ રીતે વિરોધ આવે છે તે જોઈએ – ઈશ્વરને શુભાશુભ કર્મોના ફળદાતા માનવામાં આવે તો બે વિકલ્પ ઉપસ્થિત થાય - (૧) ઈશ્વર પોતાની મરજી મુજબ ફળ આપે છે. (૨) ઈશ્વર જીવના કર્મ અનુસાર ફળ આપે છે. પ્રથમ વિકલ્પ અનુસાર જીવને જે કાંઈ ફળ મળે છે તે ઈશ્વરની મરજીને આધીન છે. ઈશ્વર જેમ ઇચ્છે તેમ ફળ આપે છે. ફળ સારું કે ખરાબ, ઈશ્વરની ઇચ્છાથી મળે છે. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવે સુખ-દુઃખ ભોગવવાં પડે છે. ૧- જુઓ : ન્યાયસૂત્ર', અધ્યાય ૪, આહ્નિક ૧, સૂત્ર ૧૯-૨૧ 'ईश्वरः कारणं पुरुषकर्माफल्यदर्शनात् ।। न, पुरुषकर्माभावे फलानिष्पत्तेः ।। તારિત્નાવિહેતુઃ ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy