SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૬૯ ૪૧૩ સાથે આત્માના વર્તમાન ભાવનો અવિરોધ છે, તેથી વર્તમાનમાં કાં તો તે નિત્ય હોવો જોઈએ અને કાં તો તે સદા અસત્ અવિદ્યમાન જ હોવો જોઈએ.૧ આમ, આ બે પક્ષ અહીં સંભવે છે. પરંતુ આ બન્ને પક્ષ દૂષિત છે અને તેથી ક્ષણિકવાદ ખંડિત થાય છે, તે આ પ્રકારે ક્ષણિકવાદી એમ માને છે કે આત્માદિ વસ્તુ ક્ષણસ્વરૂપી છે, આગલી-પાછલી ક્ષણે અવિદ્યમાન છે, માત્ર વર્તમાન ક્ષણે જ વિદ્યમાન છે. જેનો આ મત છે, તેના પોતાના આત્મા ઉપર જ તે ઘટાવવામાં આવે તો કઈ રીતે વિરોધ આવે તે સમજીએ. આગલી-પાછલી ક્ષણે અભાવ છે એવી તેની માન્યતાની સાથેના અવિરોધના કારણે વર્તમાન ભાવે તો તે પોતે છે. આગલી-પાછલી ક્ષણે નહીં હોવાપણું તે કહે છે અને તે બન્નેની વચ્ચેની વર્તમાન ક્ષણે તો તેનું વિદ્યમાનપણું - વર્તમાનપણું તે સ્વીકારે છે. આવી રીતે જે વર્તમાન ભાવે વિદ્યમાન છે, તે નિત્ય હોવો જોઈએ; કારણ કે ‘સદા તદ્ભાવ દ્વારા તત્ તે ભાવવંત હોય' એમ નિયમ છે, અર્થાત્ જે જે ભાવવાળો હોય તે તદ્ભાવથી સદા તે ભાવવાળો હોવો જોઈએ. વર્તમાન ભાવવાળો તે સદા વર્તમાન ભાવવંત હોવો જોઈએ, એટલે કે તે નિત્ય હોવો જોઈએ. આમ, નિત્ય પક્ષની સિદ્ધિ થતાં ક્ષણિકવાદ ઊડી જાય છે. વળી, આગલી-પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે અને કહે છે તે પોતે જો આગલી-પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય તો તે કઈ રીતે જાણી-કહી શકે? એટલે જે વર્તમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી-પાછલી ક્ષણે પણ વિદ્યમાન હોવો જ જોઈએ. આમ, વસ્તુ ક્ષણિક છે એમ જાણી જે વદે છે, તે વદનારો પોતે ક્ષણિક નથી એમ અનુભવથી નિશ્ચયપૂર્વક જણાય છે. તાત્પર્ય કે આત્મા ક્ષણિક નહીં પણ નિત્ય છે, એટલે વાદીએ કાં તો નિત્ય પક્ષનો સ્વીકાર કરવો જોઈએ અને કાં તો વર્તમાન ક્ષણે પણ પોતાના વિદ્યમાનપણાનો પક્ષ છોડી દેવો જોઈએ. જો તે એમ કરે તો તે સદા અસત્ જ અવિદ્યમાન જ થઈ જાય; કારણ કે વર્તમાન ક્ષણે પણ તે સત્ નથી રહેતો અને તેના મત અનુસાર આગલી-પાછલી ક્ષણે તો તે અભાવરૂપ જ છે. આમ, વર્તમાન ક્ષણે પણ જો તે સત્ ન હોય તો તે સદા અભાવરૂપ જ હોવાથી, સદા અસત્ અવિદ્યમાન જ હોય; તેથી ક્ષણિકપણું વદનારા ક્ષણિકવાદીનું પોતાનું જ અસ્તિત્વ નહીં રહે! અને તો પછી તેનો વાદ તો ક્યાંથી ઊભો રહેશે? આમ, આગલી-પાછલી ક્ષણે આત્માનો અભાવ માનનારો ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતો નથી. આત્માને એકાંતે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૯૩ ‘अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य તુ । तयाविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ।। ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy