SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમજાય છે અને સ્થિર થાય છે. વ્યવહારમાં સામાન્યપણે કોઈ વસ્તુ પૂર્ણસ્વરૂપે બને ત્યારે એમ કહેવાય કે તેની ઉત્પત્તિ થઈ અને તેનો નાશ થાય ત્યારે એમ કહેવાય કે તેનો નાશ થયો. ઉત્પત્તિ અને નાશની વચ્ચેનો સમય ધ્રૌવ્યત્વનો સમય ગણાય છે. જ્યારે ઘડો પૂર્ણ સ્વરૂપે બને છે ત્યારે ઘડો ઉત્પન્ન થયો એમ કહેવાય છે અને જ્યારે ઘડો ફૂટી જાય છે ત્યારે ઘડો નાશ પામ્યો એમ કહેવાય છે. જો પૂછવામાં આવે કે ઘડો ક્યારે ઉત્પન્ન થયો? તો કહેવાય કે ઘડો કાલે ઉત્પન્ન થયો. એ જ પ્રમાણે પૂછવામાં આવે કે ઘડો ક્યારે નાશ પામ્યો? તો કહેવાય છે કે ઘડો કાલે નાશ પામ્યો. જો સૂક્ષ્મ રીતે કહેવું હોય તો કહેવાય છે કે અમુક ક્ષણે ઉત્પન્ન થયો છે, તે પછીની ક્ષણોમાં ઉત્પન્ન થયો નથી; એટલે ઘટની ઉત્પત્તિમાં અમુક ક્ષણની વિશિષ્ટતા છે, બીજી ક્ષણમાં તે ક્ષણની વિશિષ્ટતા નથી એ સમજી શકાય છે. ઉત્પન્ન થયેલા ઘટમાં પ્રથમ ક્ષણે દ્વિતીય ક્ષણ સંબંધી વિશિષ્ટતા નથી એ સ્પષ્ટ છે. એ તો જ્યારે ઘટ દ્વિતીય ક્ષણમાં આવે છે ત્યારે જ થાય છે અને દ્વિતીય ક્ષણમાં ઘટ આવે છે ત્યારે તેમાં પ્રથમ ક્ષણની વિશિષ્ટતા રહેતી નથી, તે વિલય પામી જાય છે. એ રીતે દ્વિતીય ક્ષણે ઘટમાં પ્રથમ ક્ષણ સંબંધી વિશિષ્ટતાનો નાશ અને દ્વિતીય ક્ષણ સંબંધી વિશિષ્ટતાની ઉત્પત્તિ થાય છે. ધ્રૌવ્ય તો પ્રગટ જણાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર ક્ષણો માટે વિચારવું ઘટે છે. સામાન્ય દૃષ્ટિએ જોતાં જણાય છે કે દરેક વસ્તુ લાંબા સમય પછી જૂની લાગે છે, તેમાં ફેરફાર થયેલો જણાય છે. શું આ ફેરફાર કોઈ વિશેષ ક્ષણે થાય છે કે દરેક ક્ષણે થાય છે? સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં જણાશે કે આ ફેરફાર દરેક ક્ષણે થાય છે, તેથી દરેક ક્ષણે આગલી ક્ષણના સ્વરૂપનો નાશ અને નવા સ્વરૂપની ઉત્પત્તિ થઈ. તે છતાં વસ્તુ તો સ્થાયી રહે છે. કોઈ પણ પદાર્થને ઉપર પ્રમાણે વિચારવામાં આવે તો તેમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય છે એ સમજવામાં ગૂંચ ન આવે. સમયે સમયે ઉત્પત્તિ અને વિનાશ સ્પષ્ટપણે સમજાય છે અને ધ્રૌવ્ય તો પ્રત્યક્ષ જણાય છે, એટલે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રિલક્ષણસ્વરૂપ છે તેનો નિર્ણય થાય છે.' આમ, વસ્તુમાત્ર ત્રિલક્ષણસ્વરૂપી હોવાથી પૂર્વપર્યાયની નિવૃત્તિ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ જે સમયમાં થતી હોય છે, તે જ સમયમાં તે વસ્તુ સામાન્યરૂપે સ્થિર પણ હોય છે. એ રીતે જોતાં ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે સમકાલીન છે. પરંતુ કોઈ પણ એક પર્યાયને લક્ષમાં લઈ તેના ઉત્પાદ-વિનાશના સમયનો વિચાર કરવામાં આવે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', પૂર્વાર્ધ, શ્લોક ૮૬ 'उत्पादस्थितिभंगैर्युक्तं सद्रव्यलक्षणं हि यथा । एतैरेव समस्तैः पृक्तं सिद्धेत्समं न तु व्यस्तैः ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy