SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાનસ્વભાવી આત્મા કરે છે. જો કે પ્રત્યેક ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરે છે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે, કારણ કે ઇન્દ્રિય જડ છે તેથી તે જ્ઞાન કરી શકતી નથી, પણ જ્ઞાન કરવામાં માત્ર નિમિત્તરૂપ બને છે. જાણનાર તત્ત્વ તો આત્મા જ છે. આત્માના અસ્તિત્વ વિના ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરી શકે નહીં, માટે જ્ઞાન ગુણનું આશ્રયરૂપ દ્રવ્ય આત્મા છે, નહીં કે ઇન્દ્રિય. આમ, પાંચ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા એવો આત્મા પુદ્ગલમય ઇન્દ્રિયોથી ભિન્ન છે એમ યુક્તિથી શ્રીમદે સિદ્ધ કરી બતાવ્યું. - ત્વચા, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયો છે. પ્રત્યેક ઇન્દ્રિય વિશેષાર્થ ૧પોતપોતાના વિષયને અહણ કરે છે. ત્વચા સ્પર્શનું સંવેદન કરે છે, જીભ રસને ઓળખે છે, નાક ગંધને સૂંઘે છે, આંખ રૂપને જુએ છે અને કાન શબ્દને સાંભળે છે. પ્રત્યેક ઇન્દ્રિય પોતાના નિયત વિષયને જ રહે છે. કોઈ પણ ઇન્દ્રિય પોતાના વિષય સિવાય અન્ય વિષયને ગ્રહણ કરતી નથી. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કાર્ય કરી શકતી નથી. જેમ કે આંખો માત્ર રૂપને જાણવાનું કાર્ય કરી શકે છે, પરંતુ તે શબ્દ ગ્રહણ કરી શકતી નથી. જો આંખો સતેજ હોય તો ઝીણી અને દૂરવર્તી વસ્તુઓને પણ જોઈ શકે છે, પરંતુ તે શક્તિ માત્ર જોવામાં જ ઉપયોગી થાય છે. ગમે તેવી શક્તિશાળી આંખો પણ શબ્દને ગ્રહણ કરી શકતી નથી. આંખો સતેજ હોય તોપણ તે નજીકના શબ્દો સાંભળી શકતી નથી, કારણ કે તે માત્ર રૂપને જોવાનું જ કાર્ય કરે છે. સાંભળવાનું કાર્ય કાનનું જ છે, જે આંખ કદાપિ કરી શકતી નથી. આમ, પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાના નિયત વિષયનું જ ગ્રહણ કરતી હોવાથી પ્રત્યેક ઇન્દ્રિયને માત્ર પોતાના જ વિષયનું જ્ઞાન હોય છે; અન્ય ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન હોતું નથી. કાનથી સાંભળેલું તે કાન જાણે છે, પણ આંખ જાણતી નથી અને આંખે જોયેલું આંખ જાણે છે, પણ કાન જાણતા નથી. જન્મથી અંધ વ્યક્તિ કોઈનો અવાજ સાંભળી તેને ઓળખી શકે છે, પરંતુ તે તેનાં રૂપ-રંગને જાણતી નથી; જ્યારે જન્મથી બધિર વ્યક્તિ કોઈનાં રૂપ-રંગ જોઈ તેને ઓળખી શકે છે, પણ તે તેના અવાજને જાણતી નથી. પ્રત્યેક ઇન્દ્રિયની જ્ઞાનસત્તા પોતાના સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. તે અન્ય ઇન્દ્રિયના વિષયક્ષેત્રમાં પ્રવેશ કરી શકતી નથી. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – આ એકેક ઇન્દ્રિય અહમિંદ્રની જેમ પોતપોતાના વિષય-ક્ષેત્રમાં સર્વસત્તાધીશ છે, અન્ય વિષયક્ષેત્રમાં સાવ સત્તાવિહીન છે. એકેક વિષય - ગ્રામને સંભાળતી એકેક ઇંદ્રિય એકેક નાનકડા ગ્રામપતિ - નાના ઠાકરડા જેવી છે! સ્વ સ્વ ક્ષેત્રની મર્યાદા પૂરતી જ તેની સત્તા છે! અન્ય ક્ષેત્રમાં એનું કાંઈ ચલણ નથી.' ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy