SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જૈનશાસ્ત્રો, આગમો તથા પુરાણોમાં શ્રી જિનેશ્વર ભગવાનના જીવનનાં ભાવાર્થ * વૃત્તાંતો વર્ણવવામાં આવ્યાં છે. તેમાં જિનેશ્વરદેવના દેહાદિનું વર્ણન છે, અર્થાત્ તેમના દેહનાં ઉત્કૃષ્ટ લક્ષણો, પ્રમાણ, વર્ણ આદિનું વર્ણન છે તથા કેવળજ્ઞાનના પ્રાગટ્ય પછીની જિનેશ્વર ભગવાનની સમવસરણ આદિ સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ પ્રભુની પાર્થિવ કાયાનાં રૂપ, લાવણ્ય, બળ કે પ્રભુના અતિશયો નથી. પૂર્ણ વીતરાગ થઈ તેમણે પોતાનું જે શુદ્ધ, નિર્મળ, સહજાનંદમય આત્મપદ પ્રાપ્ત કર્યું છે તે તેમનું વાસ્તવિક સ્વરૂપ છે. જિનેશ્વર પ્રભુની બાહ્ય વિભૂતિ, અતિશયો, આકાર, સમવસરણ આદિ સિદ્ધિઓનું વર્ણન તેમનું બાહ્ય માહાસ્ય દર્શાવવા અર્થે કરવામાં આવ્યું છે. પરંતુ જો બાહ્ય ઓળખમાં જ અટકી જાય અને શ્રી જિનની આત્મિક ગુણસમૃદ્ધિ પ્રત્યે દૃષ્ટિ જાય જ નહીં તો માત્ર એવી બાહ્ય ઓળખથી જિનસ્વરૂપની સાચી ઓળખ થઈ શકે નહીં. શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ થતાં મનઃચક્ષુ સમક્ષ તેમની વીતરાગતા, અર્થાત્ ગમાઅણગમાથી તેમનું મુક્તપણું, ઇચ્છા-તૃષ્ણાથી તેમનું અસ્પષ્ટપણું, નિજના નિરુપાધિક આનંદમાં તેમનું રહેવાપણું, દ્રષ્ટાભાવે વિશ્વનાટકનું તેમનું નિહાળવાપણું ઇત્યાદિ ભાવોનું સ્મરણ થાય તો જ તે પરમાર્થથી જિનની ઉપાસના છે. પ્રભુની નિઃસ્પૃહતા, નિર્મમતા, નિર્લોભતા, અક્ષોભતા વગેરે ગુણો પ્રત્યે પ્રમોદભાવ ઉત્પન્ન થતાં પ્રભુનો અચિંત્ય મહિમા ધ્યાનમાં આવે છે અને તે ગુણોના ભાવોનું ગ્રહણ થાય છે, અર્થાત્ તેના સંસ્કાર ચિત્તમાં અંકિત થાય છે. અંકિત થયેલી છાપ અંદર ને અંદર ગુપ્તપણે વિકસિત થઈ ઇચ્છિત ફળને આપવા સમર્થ થાય છે. મતાર્થી જીવ જિનેશ્વરદેવનાં દેહ, લાંછન, કુળ, આયુષ્ય, પંચ કલ્યાણકની તિથિઓ વગેરેને પ્રભુનું વર્ણન સમજે છે તથા તેને સમવસરણ, અષ્ટ પ્રાતિહાર્ય' આદિ સિદ્ધિઓનાં વર્ણનનો મહિમા વર્તે છે; અર્થાત્ દેહાશ્રિત અને કર્માશ્રિત વ્યક્તિત્વના વર્ણનમાં જ તે પોતાની બુદ્ધિને રોકી રાખે છે અને તેમની અંતરંગ વીતરાગદશાનો લક્ષ પણ કરતો નથી, તો તેને વીતરાગતાની ઝંખના કઈ રીતે થાય? વીતરાગતાની ઉત્કટ ઝંખના થયા વિના તે તરફનો પુરુષાર્થ કઈ રીતે થાય? અને વીતરાગી પુરુષાર્થ કર્યા વિના પૂર્ણ વીતરાગપદમાં સ્થિતિ કઈ રીતે થાય? આમ, આ ગાથામાંથી એમ ફલિત થાય છે કે જિનેશ્વરદેવનું અવલંબન લેવું એટલે વીતરાગતાનું અવલંબન લેવું - વીતરાગતાને જીવનનું લક્ષ બનાવવું, નહીં કે જિનેશ્વરદેવની ફક્ત બાહ્ય દેહાકૃતિ કે તેમના સમવસરણાદિ અતિશયોનાં વર્ણનનાં ૧- દેવેન્દ્ર નિયુક્ત કરેલા જે દેવતાઓ પ્રતિહાર - સેવકનું કામ કરે છે, તેમને ભગવંતના પ્રતિહાર કહેવામાં આવે છે. તેઓ દ્વારા ભગવંતની ભક્તિ નિમિત્તે નિર્મિત કરાયેલ અશોકવૃક્ષ વગેરેને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. તેવાં આઠ પ્રાતિહાર્ય છે - (૧) અશોકવૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) ત્રણ છત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy