________________
શુદ્ધિપર્વ • ૨૫૫ સમાજના હિત અર્થે, પૂર્ણ ભોગ આપવો, જેથી પરિગ્રહ બંધન મટી લોકોપકારમાં પરિણમે. (૩) સતત જાગૃતિ અને જીવનનું અંતરનિરીક્ષણ કરતા રહેવું જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દોષોની ચોકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં ઓટ ન આવે. આત્મવંચના
ભગવાનની જીવનકથા સાંભળવી અને તેનું સ્થળ અને બાહ્ય અનુકરણ કરવું એ એક વાત છે, અને તેના હાર્દને સમજી યથાશક્તિ તેનો પોતાના સમયની પરિસ્થિતિ સુધારવા ઉપયોગ કરવો એ જુદી વાત છે. એ ખરું છે કે નાનામોટા બધા જ ભાવુક જૈને ઓછામાં ઓછું પજુસણના દિવસોમાં તો મહાવીરને પગલે ચાલી નાનુમોટું તપ આચરે છે અને અન્યના દુઃખને પોતાનું લેખવાના પ્રતીકરૂપે નાનુંમોટું પગલું ભરે છે. એ પણ સાચું છે કે દરેક ધાર્મિક જૈન પોતાની ઉદારતાનો બીજાના હિત અર્થે કાંઈને કાંઈ ઉપયોગ કરે છે. તેમજ એ પણ સત્ય છે કે વધારે નહિ તો પજુસણના દિવસોમાં નિત્ય અને તેમ નહિ તો છેવટે સંવત્સરીને દિવસે અવશ્યમેવ બધા જ નાનામોટા ગૃહસ્થ અને ત્યાગી પ્રતિક્રમણ કરી સૌની સાથે મૈત્રીભાવ દર્શાવતા કહે છે કે અમારે કોઈની સાથે વૈરવિરોધ નથી. આ બધું છતાં આપણે જૈન સમાજની આંતરિક સ્થિતિનો તટસ્થપણે અભ્યાસ કરીએ, રાષ્ટ્રનાં અને સમગ્ર માનવસમાજમાં તેનું શું સ્થાન છે એનો વિચાર કરીએતો આપણને જણાયા વિના નહિ રહે કે આપણે મહાવીરના સિદ્ધાંતના બાહ્ય ખોખાના જ આચરણમાં ધર્મનું વાસ્તવિક પાલન માની આત્મવંચના કરીએ છીએ. તપ, વ્રત, નિયમ, દાન અને પ્રભાવના આદિ દ્વારા ચોથો આરો વર્યાની કે તેના ઉદ્યોતની જે કુંકુમપત્રિકાઓ અરસપરસ સંઘોને લખવામાં આવે છે, તેનું પોકળપણું આપણે તે જ ગૃહસ્થ અને સાધુસંઘોના જીવનના માપદંડ દ્વારા સરળતાથી જાણી શકીએ છીએ. ઉકેલ માગતી સમસ્યાઓ
પજુસણ જેવું ધર્મપર્વ, જે ખરી રીતે આત્મશુદ્ધિનું પર્વ છે, તેમાં સમાજ પ્રવેશ કરી રહ્યો છે. જૈન સમાજ એ શિષ્ટ સમાજોમાંનો એક છે. રાષ્ટ્રીય અને માનવસંસ્કૃતિમાં અહિંસાના કટ્ટર અનુગામી તરીકે તેનો મોભો છે. તેને કેટલાયે સુસંસ્કારો પેઢીઉતાર અનાયાસે પ્રાપ્ત થયા છે. તેથી આત્મશુદ્ધિનું પર્વ ઊજવવા ઉત્સુક એ જૈન સમાજ પાસે થોડી પણ તાત્કાલિક સમસ્યાના ઉકેલની કોઈ આશા રાખે તો તે જરાયે અસ્થાને નથી. ખરી રીતે સમાજના જીવિત ધર્માત્માઓની તો તેના ઉકેલની દિશામાં વધારેમાં વધારે પ્રયત્ન કરવો એ સ્વયંસિદ્ધ ફરજ બની રહે છે, કેમકે સમાજગત મુખ્ય લાલચો અને દોષોનું નિવારણ કર્યા સિવાય યુગાનુરૂપ સામાજિક પ્રતિક્રમણ અગર આત્મશુદ્ધિ કદી શક્ય જ નથી. આવી સમસ્યાઓ મુખ્યપણે આપણી સામે ત્રણ છેઃ (૧) તંગી અને ગરીબી, (૨) કાળાબજાર, અને (૩) અસ્પૃશ્યતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org