SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨૦ જૈન ધર્મ અને દર્શન સમજાવતાં – જેલમાં જશે તો ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તપોભૂમિ બનશે. લૂખુંપાખું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તો એ એને અઘરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નેહરુ જેવાને પાડવી પડે છે તે ટેવ જૈન ગુરુને તો સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે જ કપડાંનો પરીષહ તેણે સ્વીકાર્યો છે. હવે જો ખાદી પહેરવી પડે તો એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે તો ત્યારે થયું કહેવાય કે જો એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લંગોટભેર રહી ટાઢ, તડકો અને જીવજંતુનો ઉપદ્રવ સહન કરે. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નગ્ન રહીને પણ પોતાના ગુરુઓનાં અંગ ઢાંગશે ! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બંને પ્રકારનો અભ્યુદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જૈન ભાઈ અને બહેનોને અને ગુરુવર્ગને જેટલો અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી. માત્ર રાજ્ય મેળવવામાં નહિ, પણ તેને ચલાવવા સુધ્ધાંમાં પરીષહો સહન કરવા પડે છે. સાચું હોય કે ખોટું એ તેઓ જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે હિન્દુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ન જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ !' એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટો આપણા દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપના ભારે અભ્યાસી છે એમને હિંદુસ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઊભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડ્યા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સૂવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદૂકોની સંગીનો નહિ ખૂંચે. પગપાળા ચાલવાના અને લૂખુંસૂકું ખાવાના તેમજ એક વાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસોના દિવસો સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સોલ્જરોને કે વાઇસરૉય સાહેબ સુધીના અમલદારોને આપણે આપણા માટે શા સારુ આપણા દેશમાં મુસીબત સહન કરવા દેવી જોઈએ ? ભલે તેઓ ઇંગ્લેંડમાં જઈ શાન્તિ ભોગવે. ખાસ કરી આપણા બધા જ સમાજોમાં સ્ત્રી અને પુરુષોમાં તપ કરવાનું અને ખમી ખાવાનું અસાધારણ બળ પડ્યું હોય ત્યારે આપણે આપણા માટે પરદેશના લોકોને શા માટે હેરાન કરવા જોઈએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy