________________
Compodium of Jainism - Part (II)
D.6 જૈન તહેવારો(પ) અને તેની ઉજવણી
જૈનોમાં વિવિધ તહેવારો અને વિધિઓની ખુબ જ સમૃદ્ધ પરંપરા છે. આમ તો તહેવારો ઉજવણી, મજા, આનંદ અને મનોરંજનના દિવસો હોય છે પરંતુ જૈનો વિવિધ તહેવારો અને ક્રિયાઓમાં આધ્યાત્મિક પાસા પર વધારે ધ્યાન આપે છે. તપ, ત્યાગ, શાસ્ત્રોના અધ્યયન, સ્તોત્રોના પઠન, ધ્યાન અને પરમાત્માની ભક્તિના અવસરો છે. પર્વોની ઉજવણી અને ધાર્મિક ક્રિયાઓ જૈન દર્શનમાં આપણી શ્રદ્ધાને પુન:જીવિત કરીને તેને વધુ મજબૂત બનાવે છે. જૈન તહેવારોને પર્વ કહે છે. પર્વ એટલે કે શુભ દિવસ.
દરેક વર્ષે આપણા તહેવારો ખ્રિસ્તી કૅલેન્ડર મુજબ જુદા જુદા દિવસે આવે છે કેમ કે આપણે ચંદ્રને આધારિત કૅલેન્ડર એટલે કે પંચાંગને અનુસરીએ છે. ચંદ્ર પોતાની વિવિધ અવસ્થા પૂર્ણ કરવા ૨૯.૫ દિવસનો સમય લે છે આથી પંચાંગ મુજબ એક વરસ ૨૯.૫ * ૧૨ = ૩૫૪ દિવસનું થાય છે. આથી દર ૨-૩ વર્ષે આપણે ખ્રિસ્તી કૅલેન્ડરની સાથે ચાલવા એક વધારાનો મહિનો એટલે કે અધિક માસ ઉમેરીએ છે.
D.6.1 કલ્યાણક - શુભ ઘટનાઓ
જૈનો તીર્થંકરોના જીવનની શુભ ઘટનાઓ(પાંચ કલ્યાણક) ઉજવે છે જેને કલ્યાણક કહે છે. તે નીચે મુજબ છે:
D.6.1.1 ચ્યવન કે ગર્ભ કલ્યાણક
આ એ ઘટના છે જયારે તીર્થંકરની આત્મા પોતાનો પૂર્વ દેહ છોડીને માતાની કુક્ષિમાં પ્રવેશે છે. પ્રભુ કુક્ષિમાં આવ્યા બાદ તેમની માતા શ્વેતામ્બર પરંપરા પ્રમાણે ૧૪ અને દિગંબર પરંપરા પ્રમાણે ૧૬ સપના જુવે છે. તીર્થંકર પ્રભુને માતાની કુક્ષીમાં હોય ત્યારે ૩ પ્રકારના જ્ઞાન હોય છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન.
D.6.1.2 જન્મ કલ્યાણક
આ એ ઘટના છે જયારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે. જયારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્ર(દેવોના રાજા) બીજા દેવતાઓ સાથે પરમાત્મા પ્રત્યેના તેમના આદર અને ભક્તિથી પ્રેરાઈને પૃથ્વી પર આવે છે. પછી તેઓ તીર્થંકર ભગવાનને મેરુ પર્વતના શિખરે લઇ જાય છે અને ત્યાં તેમનું સ્નાત્ર અને અભિષેક કરે છે (જન્મ અભિષેક મહોત્સવ).
Page 71 of 307