________________
Compodium of Jainism - Part (II)
D.5.1 પર્યુષણ મહાપર્વ
D.5 પર્યુષણ અને દસ લક્ષણ પર્વ
આ વર્ષનું સૌથી પવિત્ર પર્વ છે અને આઠ દિવસનો ઉપવાસ કરવાનો, વિવિધ ક્રિયાઓ કરવાનો, જૈન સિદ્ધાંતોને સમજવાનો, પ્રાર્થના અને પ્રત્યેક જીવ પ્રત્યે ક્ષમાપનાનો અવસર છે. આ પર્વ શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા મનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં આવે છે. પર્યુષણ પર્વ આપણી આખા વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિઓ પર ચિંતન કરવાનો અને અશુભ ક્રિયાઓ પર પશ્ચાતાપ કરવાનો સમય છે. આ બંધાયેલા કર્મોને તપથી ખેરવી દેવાનો અવસર છે. તપ સાધના દ્વારા આપણી ભૌતિક સુખ પ્રત્યેની ઈચ્છા ઓછી થાય છે જે આધ્યાત્મિક તાલીમ માટે ખુબ જ અગત્યનું પરિબળ છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં પર્યુષણ પર્વ ૮ દિવસ ચાલે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે તે શ્રાવણ મહિનાની વદ બારસ કે તેરસથી ચાલુ થાય છે અને ભાદરવા મહિનાની સુદ ચોથ સુધી ચાલે છે.
શ્રાવણનો મહિનો વર્ષાઋતુ ચાતુર્માસમાં આવે છે. જૈન સાધુ અને સાધ્વીઓ ચાતુર્માસ સિવાય એક જ જગ્યાએ લાંબા સમય માટે રોકાતા નથી. મુશળધાર વરસાદ અને પાણીની ધારાઓ સાધુ માટે એક ગામથી બીજા ગામ જવું અશક્ય બનાવી દે છે. અને અહિંસાના અનુયાયી હોવાના લીધે તેમના માટે ચોમાસામાં હરવું-ફરવું વધુ કઠિન બની જાય છે કેમ કે વર્ષાઋતુમાં જીવજંતુઓ અને બીજી જીવરાશિ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. શાસ્ત્રો પ્રમાણે ચોમાસાના બરાબર ૫૦માં દિવસે પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરી આવે છે અને તેના બાદ બીજા ૭૦ દિવસ સુધી પણ સાધુ- સાધ્વીઓને એજ જગ્યાએ રહેવાનું હોય છે.
પર્યુષણ દરમ્યાન મોટા ભાગના મંદિરો, ઉપાશ્રય અને સ્થાનકોમાં વિવિધ સમારોહ રખાય છે. પર્યુષણના પ્રથમ ૩ દિવસ દરમ્યાન સાધુ અને સાધ્વીજી તેમના પ્રવચનમાં શ્રાવક અને શ્રાવિકાને પર્યુષણના પાંચ કર્તવ્યો વિશે સમજાવે છે.
પર્યુષણનો શાબ્દિક અર્થ થાય છે કે 'દરેક દિશામાંથી ભેગા મળવું. આ પ્રગતિ અને બદલાવ સૂચવે છે.
પર્યુષણ શબ્દના ઘણા અર્થ છે:
• પરી + ઉષણ = બધા પ્રકારના + બાળી નાખવું = બધા પ્રકારના કર્મોને બાળી નાખવા. આપણા શાસ્ત્રોમાં ઉપવાસ વગેરે ૧૨ પ્રકારના તપનું વર્ણન છે. જેનાથી આપણે કષાયને દૂર કરીને ક્રમશ: આપણા કર્મોને પણ દૂર કરી શકીએ છે.
Page 61 of 307