________________
Compodium of Jainism - Part (II)
“સ્વર્ગના દેવતા ચાલતા તેમના પગ ધરતી ને ના અડે, તેમનો પડછાયો ના પડે, તેમની આંખો પલકારા ન કરે અને તેમના ગળાની ફૂલોની માળા કરમાતી નથી. સ્વર્ગની જિંદગી મોક્ષ અપાવતી નથી એટલે જ સ્વર્ગના દેવતા પણ માનવજીવન ઝંખે છે.”
આ સમય દરમિયાન રોહિણેયે પગનો કાંટો કાઢી નાંખ્યો હતો અને ફરીથી કાન બંધ કરી દીધા અને તે શહેર તરફ ચાલવા લાગ્યો. અભયકુમારે છૂપા વેશમાં લશ્કરી માણસોને શહેરના બધા દરવાજે ગોઠવી દીધા હતા. પોતે પણ દેખરેખ રાખી રહ્યા હતા. રોહિણેય છુપા ખેડૂતના વેશમાં હતો છતાં કેળવાયેલા સૈનિકો તેને તરત જ ઓળખી ગયા. સૈનિકોએ અભયકુમારને સંદેશો મોકલ્યો કે કોઈ અજાણ્યો માણસ શહેરમાં પ્રવેશ્યો છે. અભયકુમાર સજાગ થઈ ગયા. છુપાઈને ઉભેલા અભયકુમારે પસાર થતા રોહિણેયને જોઈ લીધો. છૂપા વેશમાં હોવા છતાં તે ઘરફોડ ચોરને તે ઓળખી ગયા. તેના માણસોને રોહિણેયને ઘેરી લેવા કહ્યું. ચબરાક એવો રોહિણેય આવેલા ભયને ઓળખી ગયો. તે કિલ્લાની દિવાલ બાજુ દોડ્યો, કમનસીબે ત્યાં સૈનિકો હાજર જ હતા. તેને પકડી લીધો અને જેલમાં પૂરી દીધો.
બીજે દિવસે તેને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યો. ગુપ્ત વેશમાં હોવાથી તે જ રોહિણેય છે તે નક્કી કરવું અઘરું હતું. અભયકુમારને ખાતરી હતી કે તે રોહિણેય છે પણ ચોક્કસ પુરાવા વિના તેની ઓળખ થાય નહીં અને તેને સજા પણ ન કરાય. જ્યારે રાજાએ તેને તેની ઓળખ આપવા જણાવ્યું ત્યારે તેણે કહ્યું કે પોતે શાલીગ્રામ ગામનો દુર્ગાચંદ્ર નામનો ખેડુત છે. તે રાજગૃહીની મુલાકાતે આવ્યો હતો અને અત્યારે તે પાછો ફરતો હતો ત્યારે ચોકીદારો એ મને પકડી લીધો. રોહિણેયે ગામના લોકોને પોતાની નવી ઓળખાણ માટે શીખવાડી રાખ્યું હતું. જ્યારે શાલીગ્રામ તપાસ અર્થે માણસો મોકલ્યા તો ગામના લોકોએ રોહિણેયે જે કહ્યું હતું તે જ કહ્યું.
પરંતુ રોહિણેય પાસેથી તેની ચોરીની કબુલાત કરાવવા અલયકુમારે એક છટકું ગોઠવ્યું. રોહિણેય દારૂ પીવાનો ખૂબ શોખીન હતો. તેથી તેને હદ કરતા વધારે શરાબ પીવડાવવામાં આવી. વધારે પડતા દારૂના સેવનથી તે ભાન ભૂલવા લાગ્યો. હવે તેને ચોખ્ખો કરી સરસ ખુશ્બદાર કપડાં પહેરાવી કીમતી ઘગીનાથી શણગારી તૈયાર કર્યો. તેને પાછું ભાન આવ્યું ત્યારે તેને એમ લાગ્યું કે પોતે સ્વર્ગમાં છે. શ્વાસ થંભી જાય તેવું સુંદર દ્રશ્ય આજુબાજુ હતું. દિવાલ, છત અને જમીન જાણે સ્ફટિકની બનેલી હોય તેવું લાગે. સુંદર દાસીઓ હીરા જડેલા પંખા વડે સુગંધિત હવા નાખતી હતી. પાછળથી ખૂબ જ મધુર ધીમું સંગીત વાગતું હતું. પરી જેવી સુંદર છોકરીઓ સંગીતના તાલે નૃત્ય કરતી હતી. દૈવી સંગીત સમ્રાટો સંગીતના જલસા માટે તૈયાર હતા. રોહિણેયને ઘડીભર તો લાગ્યું કે પોતે ક્યાં છે? એણે એક છોકરીને પૂછ્યું કે પોતે ક્યાં છે અને શા માટે બધા મારી સેવામાં હાજર છો? છોકરીએ જવાબ આપ્યો કે આ તો સ્વર્ગ છે અને તે એમનો નવો રાજા છે. એને બધી સ્વર્ગીય સગવડો પૂરી પાડવામાં આવશે, જે હવે તેની પોતાની જ છે અને સ્વર્ગના રાજવી ઇન્દ્ર જેવું જીવન તે સ્વર્ગની તરુણીઓ સાથે આનંદથી જીવી શકશે.
Page 255 of 307