________________
Compodium of Jainism - Part (II)
10 રાજા શ્રેણિક અને રાણી ચેરણા
ભગવાન મહાવીરના સમયની વાત છે. તે વખતે વૈશાલીનો રાજા ચેટક હતો. તેને ચેલણા નામે સુંદર રાજકુમારી હતી. એક વખત એક ચિત્રકારે ચેલણાનું ચિત્ર દોર્યું અને મગધના રાજા શ્રેણિકને બતાવ્યું. ચેલણાની સુંદરતા જોઈ શ્રેણિક તેના પ્રેમમાં પડી ગયા. એક વખત ચેલણા મગધ આવી હતી. જ્યાં તેણે શ્રેણિકને જોયો અને તે પણ તેના પ્રેમમાં પડી ગઈ. બંનેના બહુ જલ્દી લગ્ન પણ
થઇ ગયા.
રાણી ચલણા જૈન ધર્મને બહુ ચુસ્ત રીતે માનતી હતી. જ્યારે શ્રેણિક બૌદ્ધ ધર્મને માનતો હતો. આમ તો રાજા ઉદાર અને વિશાળ હ્રદયનો હતો છતાં કોણ જાણે કેમ તેને ચેલણા જૈન સાધુઓ પ્રત્યે ભક્તિ રાખતી તે ગમતું નહીં. જૈન સાધુઓ ઢોંગી હોય છે તેવું તે સાબિત કરવા માંગતા હતા. રાજા શ્રેણીક દૃઢ પણે માનતા હતા કે જૈન સાધુ જૈન તત્વજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે જાત પરનો સંયમ તથા અહિંસાનું પાલન પૂર્ણપણે કરી શકતા જ નથી. તેઓનો મનની શાંતિ અને સ્થિતપ્રજ્ઞ જેવો વ્યવહાર ઉપર છલ્લો જ હોય છે. ચેલણા રાજાના આ વલણથી ખૂબ વ્યથિત રહેતી.
એકવાર રાજા શ્રેણિક શિકાર કરવા ગયા હતા. ત્યાં તેમણે જૈન સાધુ યમધરને ઊંડા ધ્યાનમાં જોયા. શ્રેણીકે પોતાના શિકારી કુતરા સાધુ પાછળ છોડ્યા પણ તેઓ તો શાંત અને ઊંડા ધ્યાનમાં જ રહ્યા. સાધુની સ્વસ્થતા અને શાંતિ જોઈને કુતરા પણ શાંત થઇ ગયા. રાજા શ્રેણીક ગુસ્સે થયા અને વિચારવા લાગ્યા કે સાધુએ કોઈ જાદુ કર્યો લાગે છે તેથી તેમણે સાધુ તરફ તીર છોડવા માંડ્યા પણ તીર ધાર્યા નિશાન પર જતા ન હતા, તેથી રાજા શ્રેણિક બહુ અસ્વસ્થ થયા. અંતે મરેલા સાપ યમધરના ગળા ફરતે ભરાવીને તેઓ મહેલમાં પાછા આવી ગયા. રાજાએ મહેલ પર આવીને રાણી ચેલણાને આખો બનાવ વિગતવાર કહ્યો. રાણીને યમધર માટે બહુ દુખ થયું. તેઓ જ્યાં યમધર સાધુ ધ્યાન કરતા હતા ત્યાં રાજાને લઈ ગયા. મરેલા સાપને કારણે કીડીઓ અને બીજા જીવ જંતુ સાધુના શરીર પર ચડી ગયા હતા પણ સાધુ સહેજ પણ ડગ્યા ન હતા. એ દંપતી સાધુની અમર્યાદિત શક્તિના સાક્ષી બન્યા. રાણીએ ખૂબ સાચવીને સાધુના શરીર પરથી કીડીઓ વગેરે દૂર કર્યા અને તેમના શરીર પરથી મરેલા સાપને દૂર કર્યો. કીડીઓને કારણે લાગેલા ઘા સાફ કર્યા. ચંદનનો મલમ લગાવ્યો. થોડા સમય પછી સાધુએ આંખો ખોલી અને બંનેને આશીર્વાદ આપ્યા. પોતાને તકલીફ આપનાર રાજા કે પોતાના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરનાર રાણી બંને વચ્ચે કોઈ ભેદભાવ ન જોયો. આ જોઈ રાજા શ્રેણિક તેમનાથી ખુબ જ પ્રભાવિત થયા અને કબૂલ કર્યું કે જૈન સાધુ કોઈ પણ પ્રકારના બંધન કે ગમા-અણગમાથી પર હોય છે. આમ રાણી ચેલણા સાથે રાજા શ્રેણીક પણ જૈન ધર્મ અને ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા.
Page 246 of 307